ઇ.સ. 1857નો સશસ્ત્ર વીપ્લવ નિષ્ફળ રહેવાના કારણે ભારતની સામાન્ય જનતામાંના મોટાભાગના લોકોમાં નિરાશાનું દર્દનાક મોજું ફરી વળ્યું હતું આથી તેમણે અંગ્રેજ શાસનને એક કડવી વાસ્તવિકતા તરીકે મનોમન સ્વીકારી લીધું હતું. પરંતુ 1880 બાદના સમયગાળા દરમિયાન ફિરોજશા મહેતા, દાદાભાઈ નવરોજી, દિનશા વાચ્છા, વ્યોમેશચંદ્ર બેનરજી વગેરે ભારતીય વિદ્વાન આગેવાનોએ એલન ઓક્ટીવીઅન હ્યુમ સાથે મળીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી. રાષ્ટ્રીય એકતાની ભાવના પેદા કરી ભારતીય સમાજમાં ઉદ્દભવી રહેલ સામાજિક-રાજકીય સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવું એ કોંગ્રેસનો મુખ્ય હેતુ હતો.
લાલા લજપતરાય, બીપીનચંદ્ર પાલ, લોકમાન્ય તિળક, અરવિંદ ઘોષ વગેરે નેતાઓ ઉગ્ર રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા હતા. તેમની પ્રવૃત્તિઓના લીધે પંજાબ અને બંગાળમાં રાષ્ટ્રવાદી લડતના બીજ રોપાયા હતાં. લગભગ 8 કરોડની વસ્તી ધરાવતું બંગાળ તો રાષ્ટ્રવાદી લડતનું કેન્દ્રબિંદુ બની રહ્યું હતું. બંગાળની કોમી એકતા પણ અંગ્રેજોને આંખમાં કણાંની માફક ખૂંચતી હતી. આથી લોર્ડ કર્ઝને મુસ્લિમ બહુમતી ધરાવતા પૂર્વ બંગાળને અલગ કરવામાં આવ્યું. પરંતુ લોકો હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની લોર્ડ કર્ઝનની બદમુરાદ સમજી ગયા અને રવીન્દ્રનાથ ટાગોર વગેરેના પ્રયત્નોથી કોમી એકતા ટકાવીને બંગ-ભંગનું જોરદાર આંદોલન કર્યું. આ લડતમાં ટાગોર સાથે સુરેન્દ્રનાથ બેનરજી, બીપીનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા નેતાઓએ ખભેખભો મિલાવીને કાર્ય કર્યું. વિદેશી ચીજ વસ્તુઓનું પીકેટિંગ શરૂ કરવામાં આવ્યું, સ્વદેશી વસ્તુઓ તથા રાષ્ટ્રીય શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. અંતે સરકારી દમન સામે પણ પ્રજા અડીખમ રહેતાં અંગ્રેજોએ 1911માં દિલ્હી દરબાર વખતે બંગાળના ભાગલા રદ કર્યા. આમ, રાષ્ટ્રીય આંદોલનના લક્ષ અને કામગીરીને પ્રભાવિત કરવામાં બંગાળના વિભાજને અસરકારક ભૂમિકા અદા કરી હતી.
ભારતમાં ચાલતા આંદોલનની સમાંતરે વિદેશોમાં રહેતા ભારતીયોએ પણ દેશબાંધવો ખાતર વિદેશમાં લડત ચલાવતા હતા. જેમાં વીર સાવરકર, લાલા હરદયાળ વગેરેએ લંડનમાં રહી પોતાની પ્રવૃત્તિઓ ચલાવતા હતા તો લાલા હરદયાળએ અમેરિકામાં ભારતીય ગદર પાર્ટીની સ્થાપના કરી હતી. તો મેડમ કામાએ જર્મનીમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો ફરકાવ્યો હતો.