શહેરમાં લોકડાઉન-4(Lockdown) વખતે સતત વધી રહેલા કોરોના(Corona)ના સંક્રમણ બાદ હવે અનલોક-1માં તો લોકો જાણે કોરોના ચાલ્યો ગયો હોય તેમ કામ વગર અને કોઇ જાતની ગાઇડલાઇનનું પાલન કર્યા વગર ફરી રહ્યા છે. જેથી કોરોના પોઝિટિવનો આંક પણ ઊંચો જવા માંડ્યો છે. હવે તો 50થી વધુ કેસ જાણે સામાન્ય વાત થઇ પડી છે. ત્યારે મંગળવારે વધુ 54 કેસ નોંધાતાં શહેરમાં કોરોનાના ચેપગ્રસ્તોનો કુલ આંક 1695 થઇ ગયો છે. શહેરમાં લિંબાયતમાં વધુ 14, કતારગામમાં 13, સેન્ટ્રલ ઝોનમાં 11, વરાછા-એ અને રાંદેરમાં 2-2, જ્યારે અઠવા ઝોનમાં ચાર કેસ નોંધાયા છે.
કોરોના(Corona)ની ચપેટમાં આવી રહેલા લોકોમાં અગાઉ લોકડાઉન(Lockdown) વખતે જરૂરી સેવા સાથે સંકળાયેલા જે રીતે શાકભાજી વિક્રેતા, દૂધની ડેરીવાળા, કરિયાણાવાળા વગેરે સુપર સ્પ્રેડરની ભૂમિકામાં હતા, તેથી તેનામાં સંક્રમણ પણ વધુ દેખાઇ રહ્યું હતું. જે હજુ પણ એજ ગતિમાં આગળ વધી રહ્યું છે. તો હવે છૂટછાટ બાદ જે નવા વ્યવસાયો ચાલુ થયા છે તેમાં સલૂન, ગલ્લાવાળા ઉપરાંત કુરિયર સર્વિસ, વોચમેન, તબીબોમાં વધી રહેલું સંક્રમણ મોટી ચિંતાનું કારણ છે. કેમ કે, આ તમામ વ્યવસાયીઓ એવા છે જે રોજેરોજ અનેક લોકોના સંપર્કમાં આવી રહ્યા છે. આ ઉપરાંત એક દેશી દારૂનો ધંધો કરતી મહિલા બુટલેગર અને એક સફાઇ કામદારની માતા પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ સાથે શહેરમાં વધુ 27 કોરોના પોઝિટિવ દર્દીઓ સારા થઇ જતાં રજા આપી દેવામાં આવી હતી. તો સોમવારે મોડી રાત્રે એક મોત બાદ મંગળવારે વધુ ત્રણ મોત નોંધાતાં મોતનો આંક 74 થયો છે.