મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનની સામે ખતરો ઉભો થયો છે. ભાજપના મોટાભાગના નેતાઓએ શિવસેના સાથે ગઠબંધન કર્યા વિના જ આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનો સૂર વ્યક્ત કરતા ભાજપના ટોચના નેતાઓ વિમાસણમાં મૂકાઈ જવા પામ્યા છે. નેતાઓએ મહારાષ્ટ્રમાં એકલા હાથે 220 બેઠક જીતવાના લક્ષ્યને નિર્ધારિત કર્યો છે.
સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને અનુલક્ષીને ભાજપે બૂથસ્તરના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓની બેઠક યોજી હતી. લોકસભાની ચૂંટણી સમયે નિર્માણ પામેલી સ્થિતિને લીધે તે સમયના વિદ્યમાન સાંસદોને એકલા લડવાનું જોખમભર્યું લાગી રહ્યું હતું.
લોકસભામાં ભાજપને મળેલા જબરા પ્રતિસાદ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એકલા હાથે જીતવાનો વિશ્ર્વાસ નેતાઓમાં છે. આ સાથે અત્યારે જ પક્ષ માટે સાનુકૂળ વાતાવરણ હોવાથી ટિકિટ ઈચ્છુકો વધી ગયા છે અને 288 બેઠક પરથી ભાજપ ઉમેદવાર ઊભા રાખે તેમ ઈચ્છી રહ્યા છે. વળી, બીજી બાજુ શિવસેના એકસરખી બેઠકો માગી રહી હોવાથી ભાજપના નેતાઓમાં નારાજગી છે. ભાજપે અન્ય સાથી પક્ષો આરપીઆઈ, શિવસંગ્રામ પક્ષ વગેરેને પણ સાથે લઈ ચાલવાનું છે, પરંતુ શિવસેના સાથે જોડાશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.
રવિવારે ભાજપની યોજાયેલી એક દિવસીય કાર્યકારિણીમાં રાજ્યના પ્રદેશાધ્યક્ષ ચંદ્રાકાન્તદાદા પાટીલે સાથે લડવાની વાત કરી હતી, પરંતુ તેમણે 288 બેઠકોની તૈયારીમાં લાગી જવાનું આહવાન પણ પક્ષના નેતાઓને આપ્યું હતું. નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે ‘અબકી બાર, 220 પાર’નો નારો આપ્યો હતો. તેમણે સાથી પક્ષો સાથે રહી 288માંથી 220 બેઠક પર વિજય મેળવવાનો લક્ષ્યાંક પ્રસ્તાવિત કર્યો હતો. તેમણે કૉંગ્રેસને કૌભાંડીઓનો પક્ષ કહ્યો હતો અને મહારાષ્ટ્રમાં તેમણે એક અધ્યક્ષ અને પાંચ કાર્યકારી અધ્યક્ષ નિમ્યા છે, તે કૉંગ્રેસના જ બંધારણ વિરુદ્ધ છે, તેમ જણાવ્યું હતું.