1. અંગ્રેજ શાસનનો ઉદ્દભવ
હાલમાં ભારતને આઝાદી મળ્યાને 73વર્ષ થવા જઈ રહ્યાં છે. આમ જોઈએ તો આપણને આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી હતી. પરંતુ ભારતનો આઝાદી માટેનો સંઘર્ષ કેટલાય દાયકાઓ જૂનો છે. ભારતનો આઝાદીનો ઇતિહાસ સામાન્ય રીતે ત્રણ ભાગે વહેંચી શકાય.
1. 1857નો સ્વતંત્રતા સંગ્રામ.
2. કોંગ્રેસની સ્થાપના બાદ રાષ્ટ્રવાદ નો ઉદય.
3. ગાંધીજીનું સ્વદેશાગમન અને અહિંસક ચળવળ.
ઇ.સ. 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ‘હેકટર’ નામનું જહાજ ભારત પહોંચ્યું અને સુરતના દરિયાકાંઠે લાંગર્યું ત્યારે કંપનીના વહીવટદારોનો એકમાત્ર હેતુ વ્યાપાર કરવાનો હતો. મોગલ બાદશાહ જહાંગીરે કંપનીના બ્રિટિશ એજન્ટને ફક્ત વ્યાપારી હિતો પૂરતા સીમિત રહેવા ચેતવ્યો પણ હતો. આશરે એક સદી સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ફક્ત વેપાર કરીને નફો રળવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ ત્યારબાદ સંજોગો પલટાયા. તે સમયે મોગલ સામ્રાજ્યની આણ સમગ્ર ભારતવર્ષમાં પ્રવર્તતી હતી. પરંતુ ઔરંગઝેબના મુત્યુ બાદ મોગલ શાસનના વળતાં પાણી શરૂ થયા. ઔરંગઝેબના વંશજો સત્તા લાલસામાં એકબીજા સામે લડી રહ્યા હોય પ્રાંતીય સૂબાઓને છૂટ્ટો દોર મળી ગયો. તેમાં નિઝામ, નવાબ વગેરેએ દિલ્હી સલ્તનત સાથે છેડો ફાડીને સ્વતંત્ર વહીવટ શરૂ કર્યો આથી અંગ્રેજોને પોતાનો સ્વાર્થ સાધવા ખાતર મોગલ બાદશાહને બદલે પ્રાંતીય સૂબાઓ સાથે દોસ્તી કરવી વધારે યોગ્ય લાગી. બંગાળના નવાબ સીરાજ-ઉદ્દ-દૌલા સાથે કંપનીને મતભેદ થતાં, અંગ્રેજોએ નવાબના સેનાપતિ મીર જાફરને ફોડી નાંખ્યો. ત્યારબાદ પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઈવના અંગ્રેજ સૈન્યએ સીરાજ-ઉદ્દ-દૌલાને હરાવીને બંગાળ કબ્જે કર્યું. બંગાળની અઢળક મહેસુલી આવકથી આંકડે મધ ભાળી ગયેલા અંગ્રેજ જમડાઓએ હવે વેપારને તડકે મૂકીને ભારતના વધુને વધુ ભાગો પર કબજો કરવાની મેલી રમત શરૂ કરી.
અંગ્રેજોની ભારતીય ઉપખંડમાં સત્તા પ્રાપ્ત કરવાની મહેચ્છા સાકાર થતી જણાતાં અંગ્રેજ સરકારે 1774માં વોરન હેસ્ટિંગસને બંગાળના પ્રથમ ગવર્નર જનરલ તરીકે ભારત મોકલ્યો. આ મહત્વકાંક્ષી ગવર્નર જનરલે આવતાંવેંત બે એંગ્લો-મૈસુર યુદ્ધ દ્વારા હૈદરઅલી અને ટીપુ સુલતાનના મૈસુરને પોતાનું ખંડિયું રાજ્ય બનાવ્યું. ત્યારબાદ તેના અનુગામી ગવર્નર જનરલો બ્રિટિશ સામ્રાજ્યનો સ્વાર્થ સાધવા લોર્ડ વેલ્સલીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિ જેવી અનેક અવનવી અને અન્યાયકારી નીતિઓ દ્વારા ભારતના એક પછી એક વિસ્તારો પર કબ્જો જમાવવા લાગ્યા. 1856 સુધીમાં લગભગ 21 ગવર્નર જનરલ ભારતમાં આવ્યા અને તેમણે પ્રાંતીય સૂબાઓ, નવાબો, રાજાઓ વગેરે સાથે સમજૂતી કરીને અગર તો સૈન્યબળ વડે તેમને પરાસ્ત કરીને વધુ ને વધુ પ્રદેશો પર બ્રિટિશ શાસન સ્થાપતા ગયા.