મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટર બન્યા બાદ દાદા અબ્દુલ્લાની પેઢીના વકીલ બનીને દક્ષિણ આફ્રિકા ગયા જ્યાં અંગ્રેજો વિરુદ્ધ રંગભેદ સામે આંદોલન કરીને તેમાં જ્વલંત સફળતા મેળવ્યા બાદ 1915માં ભારત પરત આવ્યા. આ આંદોલન દ્વારા ગાંધીજીએ સમગ્ર જગતને લડતનું એક નવું શસ્ત્ર આપ્યું અહિંસા. ભવિષ્યમાં આ તદ્દન નવું શસ્ત્ર અંગ્રેજોને ભારતીય ઉપમહાદ્વીપમાંથી હાંકી કાઢવા માટે પણ ચાવીરૂપ બની રહેવાનું હતું.
ગાંધીજીની ભારત વાપસી બાદ તેઓ ગોપાલકૃષ્ણ ગોખલેના વિચારોથી પ્રભાવિત થઈને તેમણે ગોખલેને રાજનૈતિક ગુરુ બનાવ્યા અને તેમની સલાહ અનુસાર ભારત ભ્રમણ શરૂ કર્યું. આ ભ્રમણ દરમિયાન ભારતીય સમાજમાં રહેલ અસ્પૃશ્યતા અને જાતિવાદ જોઈને ખૂબ દુઃખી થયા અને તેમણે અસ્પૃશ્યોને હરિજન નામ આપ્યુ. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે તેઓ અંગ્રેજોની તરફેણના હિમાયતી હતા. અંગ્રેજ સરકારે પણ તેમને કેસર-એ-હિંદનો ખિતાબ આપી નવાજ્યા હતા. પરંતુ ટૂંક સમય બાદ અંગ્રેજો પ્રત્યે તેમનો મોહભંગ થતાં તેઓએ અંગ્રેજ સરકાર સામે પણ અહિંસક લડતનું બ્યુગલ ફૂંકયું.
ગાંધીના ભારત-ભ્રમણ દરમિયાન બિહારના ચંપારણ વિસ્તારમાં ગળીના ફરજીયાત વાવેતરના હુકમ તેમજ વેચાણમાં અંગ્રેજ વેપારીઓની મોનોપોલીના કારણે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાની જાંખી થતાં તેમણે
ઇસ.1917માં સત્યાગ્રહ શરૂ કર્યા અને તેમાં સફળ રહ્યા. જેના અનુસંધાને રવીન્દ્રનાથ ટાગોરે મોહનદાસ ગાંધીને મહાત્માનું બિરુદ આપ્યું.
આ દરમિયાન ભારતમાં રાષ્ટ્રવાદી આંદોલન જોર પકડી રહ્યું હતું. જેના લીધે અંગ્રેજ શાસનને પોતાની સત્તાના પાયા ડગમગતા જણાતાં 1919માં ‘રોલેટ એક્ટ’ નામનો કાયદો પસાર કર્યો. જેના અંતર્ગત કોઈ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી તેના પર કેસ ચલાવ્યા વગર પણ અચોક્કસ મુદત માટે જેલમાં પુરી શકાતો. ગાંધીજીએ આ કાયદાને કાળા કાયદા તરીકે ઓળખાવ્યો અને તેની વિરુદ્ધ લડત આપવા માટે દેશબાંધવોને હાકલ કરી. ત્યારબાદ ગાંધીજીની પણ ધરપકડ કરીને જેલમાં પુરી દેવામાં આવ્યા.
આ દરમિયાન ભારતીય આઝાદી ઇતિહાસની સૌથી દુઃખદ ઘટના પણ ઘટી. પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગ ખાતે એકઠા થઈ રોલેટ એક્ટનો શાંતિપૂર્ણ વીરોધ કરી રહેલા હજારો લોકો પર બ્રિટિશ જલ્લાદ જનરલ રેજીનાલ્ડ ડાયર અને તેના ભાડૂતી સૈનિકો દ્વારા ગોળીઓનો વરસાદ વરસાવવામાં આવ્યો જેમાં સરકારી આંકડાઓ મુજબ અંદાજે 380 લોકો મુત્યુ પામ્યા હતા, પરંતુ ખરેખર તો આશરે દોઢ હજાર જેવા કમભાગી સ્ત્રી પુરુષોએ પોતાનો ભોગ આપ્યો હતો.
આ ઘટના બાદ મહાત્મા ગાંધીની અંગ્રેજો પ્રત્યેની વિચારસરણી 180 અંશે બદલી ગઇ. અત્યાર સુધી અંગ્રેજોને શિક્ષિત અને સભ્ય ગણતા ગાંધીજીને તેની જંગલિયતનું રૂબરૂ દર્શન થતાં જ તેઓએ અંગ્રેજો સામે ખુલ્લો જંગ ખેલવાનું નક્કી કરી લીધું. મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ 1920માં અસહકારની લડતનો પ્રારંભ થયો. વકીલોએ વકીલાત છોડી, વિધાર્થીઓએ અંગ્રેજ શાળાઓ છોડીને સ્વયંસેવક બન્યા, મજૂરોએ હડતાળો પાડીને આંદોલનમાં પોતાનો ટેકો આપ્યો. આ સાથે ગાંધીજીની હાકલ થતાં સ્વદેશી અપનાવોની ઝુંબેશ શરૂ થઈ. લોકોને કર ન ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ આ લડતમાં ચૌરી ચૌરામાં બનેલ હિંસક ઘટનાથી મહાત્મા ગાંધીનો અંતરાત્મા કકળી ઉઠ્યો અને તેમણે આ લડત પાછી ખેંચી લીધી.
આ અહિંસક પ્રવૃત્તિઓની સમાંતરે કેટલાક દેશભક્ત નવયુવાનો દ્વારા હિંસક ક્રાંતિ પણ ચાલુ રહી હતી.જેમાં કાકોરી કાવતરામાં રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન, રોશનસિંહ ચંદ્રશેખર આઝાદ વગેરે મુખ્ય હતા. ભગતસિંહે લાલા લજપત રાય પર લાઠીચાર્જ કરનાર પોલીસ અધિકારી સૌંડૅસની હત્યા કરી હતી. અને અંગ્રેજો સામે લડતાં લડતાં તેઓ ફાંસીને માંચડે લટકીને શહીદ થઈ ગયા. આ ઉપરાંત પ્રફુલ ચાકી, જતીન દાસ, સુખદેવ, રાજગુરુ વગેરે જેવા અનેક નવયુવાનોએ માં ભારતીની સ્વાધીનતા માટે હસતા મુખે શહીદી વહોરી લીધી હતી.