કચ્છના ગાંધીધામમાં સામે આવેલા મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. પરેશ ધાનાણીએ કહ્યું કે 2017માં સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી હતી. ખેડૂતો પાસેથી નબળી મગફળી ન ખરીદી તો આમાં માટી ક્યાંથી આવી?
વિપક્ષના નેતા ધાનાણીએ સરકારને આડે હાથ લેતા કહ્યું કે મગફળી કાંડને સરકારે દબાવાવનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના આંદોલન બાદ પણ કોઇ કાર્યવાહી કરી નથી. પહેલા પણ આ ગોડાઉનમાં કૌભાંડ થયું હતું. સરકારના મળતીયાઓએ 4 હજાર કરોડની લૂંટ કરી છે. પરેશ ધાનાણીએ આરોપ મુકતા કહ્યું કે સરકાર આ કૌભાંડમાં સીધી રીતે જવાબદાર છે.
રાજ્ય સરકારે પસંદ કરેલી નોડેલ એજન્સીએ ખેડૂતો પાસેથી નબળી મગફળી ખરીદી નથી તો કેમ માટી નીકળી. રાજ્ય સરકારે મગફળીમાં ચોરીકરવા પીળો પરવાનો આપ્યો છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે મગફળી કાંડની વિસ્તૃત તપાસ સીટીંગ જ્જ દ્વારા થવી જોઇએ. સરકારે ઓછા દરના ગોડાઉન ભાડે રાખ્યા હતા. નોડેલ એજન્સીઓએ બોરીઓમાં માટી અને પથ્થર ભર્યાં છે.
આ કૌભાંડને દબાવવા માટે ગોડાઉનમાં આગ લગાવવામાં આવી હતી. આ ગોડાઉનમાં લાઈટની વ્યવસ્થા જ નથી, તો શોર્ટસર્કિટ ક્યાંથી થયું. આ કૌભાંડને દબાવવા માટે શોર્ટસર્કિટનું નામ આપવામાં આવ્યું છે.
આ ગોડાઉન ભાજપનાં અગ્રણીનું હોવાનું સામે આવ્યું છે. આ જ ગોડાઉનમાં 2018માં આગ લાગી હતી. ગોડાઉનમાં આગ લાગવા મામલે હજી પણ તપાસ ચાલુ છે. આ મામલે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ પણ ધરણા કર્યા હતાં.