Ladakh કેન્દ્ર સરકારે લદ્દાખ માટે ડોમિસાઇલ નીતિમાં ફેરફાર, મહિલાઓને રાજકીય અનામત અને 5 નવા જિલ્લાઓની રચનાથી વિસ્તરણને નવી દિશા
Ladakh કેન્દ્ર સરકારે લદ્દાખના સ્થાનિક લોકોને વધુ હક અને સંરક્ષણ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. નવી નીતિ મુજબ હવે લદ્દાખમાં 85 ટકા સરકારી નોકરીઓ સ્થાનિક ઉમેદવારો માટે અનામત રહેશે. સાથે જ, ડોમિસાઇલ નીતિમાં ફેરફાર કરીને સ્થાનિકતાના ધોરણો વધુ સ્પષ્ટ બનાવાયા છે. આ નિર્ણય 2019માં કલમ 370 હટાવ્યા પછી લદ્દાખમાં ચાલી રહેલી લાંબી માંગને જવાબરૂપ છે.
કોણ ગણાશે લદ્દાખનો નિવાસી?
નવી નીતિ મુજબ, જે વ્યક્તિઓ લદ્દાખમાં છેલ્લાં 15 વર્ષથી રહે છે, અથવા જેમણે ત્યાં સતત 7 વર્ષ અભ્યાસ કરીને 10મા કે 12મા ધોરણ સુધીની પરીક્ષા પાસ કરી છે, તેઓ લદ્દાખના નિવાસી તરીકે માન્ય રહેશે. ઉપરાંત, લદ્દાખમાં કામ કરતાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાળકો પણ 10 વર્ષ સુધી સેવા આપ્યા બાદ નિવાસ માટે પાત્ર બનશે.
મહિલાઓ માટે પણ રાજકીય અનામત
લદ્દાખ સ્વાયત્ત હિલ વિકાસ પરિષદોમાં હવે એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. મહિલાઓના રાજકીય સશક્તિકરણ તરફ આ મહત્ત્વપૂર્ણ પગલું ગણાય છે. આ અનામત બેઠકો વિસ્તારમાં ફેરવવામાં આવશે જેથી તમામ વિસ્તારોમાં મહિલાઓની ભાગીદારી નિશ્ચિત થાય.
ભાષા અને સંસ્કૃતિનું સંરક્ષણ
લદ્દાખમાં હવે ભોટી, પુર્ગી, શીના, બાલ્ટી અને બ્રોસ્કટ જેવી સ્થાનિક ભાષાઓના સંરક્ષણ માટે ખાસ અભિયાન હાથ ધરાશે. સાથે, અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ભોટી અને ઉર્દૂને પણ સત્તાવાર ભાષાઓ તરીકે માન્યતા આપવામાં આવી છે.
5 નવા જિલ્લાઓની રચના
2024ના ઓગસ્ટમાં લદ્દાખમાં પાંચ નવા જિલ્લાઓ – ઝાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ – બનાવાયા હતા. આનો ઉદ્દેશ વિસ્તારના વહીવટને મજબૂત બનાવવો અને વિકાસની તીવ્રતા વધારવી છે.
પડકારોની પૃષ્ઠભૂમિમાં નીતિનો વિકાસ
લદ્દાખના સ્થાનિકો વકરતી બેરોજગારી, સંસ્કૃતિના સંરક્ષણ અને જમીન પર બહારથી આવેલા લોકોના દબાણને લઈ ચિંતિત હતા. આને પગલે 2023-25 દરમ્યાન અનેક બેઠક યોજાઈ હતી. ઓક્ટોબર 2024માં પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે ઉપવાસ પણ કર્યો હતો, જેના પછાત કેન્દ્ર સરકારે ઉચિત પગલાં લેવાનું વચન આપ્યું.