ભારતીય બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્માઍ દિલ્હીથી કોપનહેગેનના પ્રવાસ દરમિયાન તેના સામાનને નુકસાન પહોંચાડવા માટે રવિવારે ઍર ઇન્ડિયાની આકરી ટીકા કરી હતી. વર્માઍ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે છેલ્લા અઠવાડિયાઓમાં ઍર ઇન્ડિયાઍ જે સેવા આપી છે તેનાથી હું ઘણો નિરાશ થયો છું. દિલ્હીથી કોપનહેગનના મારા પ્રવાસ દરમિયાન મારા સામાનને નુકસાન કરાયાનું મને જણાયું હતું. મેં આ બાબતે ઍર ઇન્ડિયાના સ્ટાફને ફરિયાદ કરી હતી.
26 વર્ષિય આ શટલરે કહ્યું હતું કે મારા સામાનને નુકસાન થયાની ફરિયાદ આપી હોવા છતાં મને તેનું કોઇ વળતર મળ્યું નથી. તેણે કહ્યું હતું કે મેં આ બાબતે ઇમેલ પણ કર્યો હતો અને તેની સાથે ફરિયાદની રસીદ ઉપરાંત તૂટેલા સામાનના ફોટા પણ મોકલાવ્યા હતા, પણ 20 દિવસ થયા છતાં મને કોઇ જવાબ કે વળતર મળ્યું નથી.