કોરોનાએ દેશના તમામ નાગરિકની કમર ઢીલી કરી નાંખી છે. એમાં પણ મધ્મમ વર્ગની તો દશા ઔર બગડી ગઈ છે. રોજનું કમાઈ રોજ ખાનાર વર્ગને બહુ ઝાઝી અસર નથી, પરંતુ નોકરિયાત અને નાના મોટા એકમોમાં ખાનગી નોકરી કરતા વર્ગની હાલત કોરોનાએ કફોડી કરી દીધી છે. પેટ્રોલ-ડિઝલમાં પણ સરકાર ધીરે ધીરે ડોઝ વધારી રહી છે. હવે વલસાડ એસટી વિભાગે (Valsad ST Department) પણ બસ ભાડામાં રૂ.4-5 સુધીનો તોંતીગ વધારો કરી દીધો છે. હાઈવે પરના ટોલ ટેક્સવાળાઓએ ટેક્સમાં (Toll Tex) બેફામ વધારો કરી દેતાં બસમાં (Bus) મુસાફરી કરતા રોજીંદા મુસાફરોનો હવે મરો થઈ રહ્યો છે.
કોરોનાએ તો માણસને જીવવું કપરું બનાવી દીધું છે. 3 મહિના લોકડાઉન રહ્યા બાદ હવે ધીરે ધીરે બધું જ ખૂલી રહ્યું છે. લોકો કોરોનાકાળના કપરા કાળમાં હવે ઘરે બેસી રહેવા રાજી નથી. કારણકે કમાયા વગર ઘરમાં રહેતા પરિવારજનો ખાશે શું, તેની ચિંતા સાથે નોકરીયાત વર્ગ પોતાના કામ ધંધે લાગી ગયો છે. સરકાર દ્વારા હવે ધીરે ધીરે તમામ વસ્તુઓ પર ભાવ વધારાની ચહલ પહલ વધી રહી છે. ડિઝલ-પેટ્રોલમાં બાદ દરેક વસ્તુઓ પર ટેક્સ વધી રહ્યા છે. જેને સીધી અસર સામાન્ય માનવી પર પડી રહી છે. વલસાડ એસટી ડિવિઝને પણ તેના તમામ ડેપોમાં મુસાફર ટિકિટના ભાડામાં રૂ.4 થી 5 સુધીનો વધારો કરી દીધો છે. મળતી માહિતા મુજબ હાઈવે પરના ટોલટેક્સમાં બેફામ વધારો થતાં બસની ટિકિટના દરમાં પણ વધારો કરાયો છે. જેમાં વાપીથી વલસાડનું લોકલ ભાડું જે પહેલાં રૂ.25 હતું, જે હવેથી રૂ.29 પ્રમાણે લેવાય છે. એકસપ્રેસ બસમાં પણ રૂ.5 સુધીનો વધારો કરાયો છે. જેની સીધી અસર રોજિંદા મુસાફરી કરતાં મુસાફરો પર પડી રહી છે.