વડોદરાના ડભોઈની શ્રી મહાલક્ષ્મી કો. ઓપરેટિવ બેંકના મેનેજર, આસિ. મેનેજર અને ઓફિસરે બેંકને 3.15 કરોડનો ચૂનો લગાવ્યો હોવાની વાતનો આખરે પરપોટો ફૂટી ગયો છે.
અગાઉ આ બેંકમાં ઠગ ટોળકી બેંકનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોવા અંગે સત્યડેમાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા પણ જેતે વખતે તપાસનું ફિન્ડલું વાળી દેવામાં આવ્યું હતું.
આખરે બેંકને ચૂનો લગાવ્યો હોવાની વાત સત્ય બની સામે આવી છે.
વડોદરાના ડભોઇ સ્થિત શ્રી મહાલક્ષ્મી કો.ઓપરેટિવ બેંકના જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ઓફિસરની બનેલી ઠગ ત્રિપુટીએ બે બિન ઉપયોગી (ડોરમેટ) એકાઉન્ટમાં ખોટા ચેકો બનાવી ખોટી સહીઓ કરીને રૂ. 3.15 કરોડનું કરી નાખ્યુ હોવાની વાત સામે આવી છે અને આ મામલે ડભોઈ પોલીસ મથકમાં મેનેજર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાતા ભારે હડકંપ મચ્યો છે.
શ્રી મહાલક્ષ્મી કો.ઓપરેટિવ બેંકના જનરલ મેનેજર સુરેશભાઇ છોટાલાલ પટેલ (રહે. બી-49, નિલાંબર આંગન, સોમા તળાવ પાસે, વડોદરા), આસિસ્ટન્ટ જનરલ મેનેજર યતીનભાઈ મહેન્દ્રભાઈ જોષી (રહે. ઇ-1, એભિષેક એપાર્ટમેન્ટ, રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે, વાઘોડિયા રોડ, વડોદરા) અને ઓફિસર ઉમેશ શાંતિલાલ કંસારાએ (રહે. બી-24, શુભ લક્ષ્મી સોસાયટી, વિશ્વામિત્રી રોડ, માંજલપુર, વડોદરા) રૂપિયા 3.15 કરોડની છેતપિંડી કરી હોવાની વાત સામે આવી છે.
આ ત્રિપુટીએ બેંકમાં પોતાની ફરજ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી આખો ખેલ પાર પડ્યો હોવાનું સામે આવ્યું છે.
બેંકના જનરલ મેનેજર ગૌરાંગકુમાર ચંદ્રકાંત પંચોલી (રહે. સી-803, રત્નમ ઓસીસ, રંગવાટીકા પાસે, વાઘોડિયા રોડ, વડોદરા)એ ડભોઈ પોલીસ મથકમાં સુરેશ પટેલ, યતીન જોષી અને ઉમેશ કંસારા સામે 3.15 કરોડની ડભોઈ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આરોપી ત્રિપુટીએ ડભોઈ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના બે સંતોના બિન ઉપયોગી (ડોરમેટ) બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. ત્રિપુટીએ સંતોના ખાતામાં અલગ-અલગ તારીખે ચેકો નાંખી બેંકમાંથી રૂપિયા 3.15 કરોડ ઉપાડી લીધા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
આ મામલે જનરલ મેનેજર ગૌરાંગકુમાર પંચોલીએ પોલીસ ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે, અગાઉ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સુરેશ પટેલે બેંક સાથે છેતરપિંડી કરતા બેંકના ચેરમેન અરૂણભાઇ મુળજીભાઇ પટેલે તેઓને તા.30-6-023થી છૂટા કર્યા છે. અમદાવાદ ખાતે આવેલી આરબીઆઈ દ્વારા બેંકને નોટિસ આપવામાં આવી હતી. જેમાં બે બેંકના એકાઉન્ટધારક સ્વામી દેવસ્વરૂપદાસ ગુરૂકૃષ્ણ પ્રસાદ (રહે. નિલકંઠ પાર્ક, ડભોઈ) અને સંત પ્રિયદાસ કૃષ્ણપ્રસાદ (રહે. નિલકંઠ પાર્ક, સ્વામિનારાયણ મંદિર, ડભોઈ)ના બિન ઉપયોગી ખાતાઓમાં ભેજાબાજ ત્રિપુટીએ અલગ-અલગ દિવસોએ બનાવટી સહીઓ કરી ચેકો બનાવી રૂપિયા 3.15 કરોડ ઉપાડી બેંકને નુકસાન પહોંચાડ્યું છે. આથી ત્રણેય સામે ફરિયાદ કરવા સૂચના આપી હતી.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ વર્તમાન બેંક મેનેજર ગૌરાંગકુમાર પંચોલીએ સુરેશ પટેલ, યતીન જોષી અને ઉમેશ કંસારા સામે ડભોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
પ્રાથમિક માહિતી અનુસાર બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેઓ વિદેશ જતા રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે અન્ય આરોપી યતીન જોશી બીમાર થઈ જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અન્ય આરોપી ઉમેશ કંસારાને પોલીસ શોધી રહી છે.
પોલીસે હાલ આઇપીસી 406, 420, 467, 468, 471, 408, 120 અને B24 મુજબ ગુનો દાખલ કરી તપાસ કરી રહી છે.