ગુજરાતમાં પ્રથમવાર વડોદરા શહેર પોલીસ ટ્રાફિક નિયમન માટે સામાન્ય નાગરિકોની ભરતી કરવા જઈ રહી છે. આ ભરતીને ‘ટ્રાફિક માર્શલ’ પ્રોગ્રામ નામ અપાયું છે.
શહેરના વિકાસ સાથે વાહનોની સંખ્યા વધતા ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ વિકટ બની રહી છે ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે સેવાભાવી નાગરિકોને જોડવા પોલીસે અભિયાન હાથ ધર્યું છે.
ટ્રાફિકના નિયમન માટે સેવા આપવા ઈચ્છતાં નાગરિકોએ એક ફોર્મ ભરવાનું રહેશે અને પસંદગી બાદ મેડિકલ અને ટ્રેનિંગ આપવામાં આવશે.
વડોદરા ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે,ટ્રાફિકની સમસ્યાનું નિયમન શહેરના નાગરિકોની મદદથી થઈ શકે તેવા હેતુથી આ વિચારને અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ અભિયાન દ્વારા સામાન્ય નાગરિકો પોતે ટ્રાફિકનું નિયમન કરાવી ટ્રાફિકની સ્થિતિ વિશે જાણી શકશે, જેથી તેમનામાં ટ્રાફિક અંગે જાગૃતિ આવશે. આ ઉપરાંત ટ્રાફિક નિયમન દરમિયાન પડતી મુશ્કેલીઓને જોઈને પોતે જાગૃત તો થશે જ તેમને જોઈને અન્ય નાગરિકોમાં પણ ટ્રાફિક અંગે જાગૃતિ આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા માટે વધુમાં વધુ નાગરિકો આ અભિયાનમાં જોડાય તેવી હું વડોદરાવાસીઓને અપીલ કરું છું.
‘ટ્રાફિક માર્શલ’ પ્રોગ્રામના નિયમો આ મુજબ રહેશે
–ઇચ્છુક નાગરિકોએ ટ્રાફિક માર્શલ બની ટ્રાફિક પોલીસ સાથે મળીને શહેરના ટ્રાફિક નિયમન માટે પ્રત્યક્ષ રીતે કામ કરશે.
–શહેરના 40થી 60 વર્ષની ઉંમરના નાગરિકો ટ્રાફિક માર્શલ માટે નોંધણી કરાવી શકશે, તમામ માપદંડ મુજબ સભ્યોની પસંદગી કરશે.
–નાગરિકો તેમના નજીકના ટ્રાફિક પ્રભાવિત વિસ્તાર (કોઈ પણ ચાર રસ્તા) પર સ્વૈચ્છિક પણે ટ્રાફિક નિયમનની સેવાઓ આપી શકશે.
–ટ્રાફિક માર્શલ તરીકેની સેવાઓ સંપૂર્ણ સ્વૈચ્છિક રહેશે, વડોદરા શહેર પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું વેતન ચૂકવવામાં આવશે નહિ.
–ટ્રાફિક માર્શલ, ટ્રાફિક પોલીસની મદદ માટે છે, તેઓ વાહનોને રોકવાનું કે દંડ ઉઘરાવવાનું કામ કરશે નહિ.
આમ, સેવા કરવા ઇચ્છતા નાગરિકો પોલીસ સાથે રહીને જેતે વિસ્તારમાં ટ્રાફિક નિયમનનું કાર્ય કરી શકશે.