ઉનાળાની શરૂઆત સાથેજ બીલીમોરા વધઇ નેરોગેજ ટ્રેનના એસી વિસ્ટાડોમ કોચના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ કોચને એસી ચેર કાર ટુરિસ્ટ કોચ જાહેર કરવામાં આવતા આ એસી ડબ્બાનું ભાડું ઘટીને 265 રૂપિયા થઈ ગયું છે. જેથી ઉનાળાની ગરમીમાં સ્થાનિક મુસાફરો, વેપારીઓ અને દૂર-દૂરથી ટ્રેનની સફર માટે આવતા પ્રવાસી મુસાફરો ઓછા ભાડામાં એસી સફરનો આનંદ માણી શકશે અગાઉ આ કોચનું ભાડું રૂ.610 હતું જે વધારે હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેરોગેજ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચની શરૂઆત થઈ ત્યારે નક્કી કરાયેલા રૂ.610 ભાડાને લઈને ડાંગ ભાજપના ધારસભ્ય, જિલ્લા આગેવાનો વેપારીઓએ એસી ડબ્બાના ભાડામાં ધટાડો થાય એ માટેની માંગ કરી હતી જે બાદ હવે ભાડામાં ઘટાડો કરી રૂ. 265 કરી દેવામાં આવ્યું છે.
આ ટ્રેનના ઇતિહાસ અંગે વાત કરવામાં આવેતો 1913માં સયાજીરાવ ગાયકવાડ દ્વારા 63 કિમીનો બીલીમોરા-વઘઈ ટ્રેકનો પાયો નાખવામાં આવ્યો હતો. તે ગાયકવાડની બરોડા સ્ટેટ રેલ્વેનો એક ભાગ હતો. જે બરોડાના રજવાડાની માલિકીની રેલ્વે લાઇન હતી જેના પર ગાયકવાડ વંશનું શાસન હતુ જેનો મુખ્ય આશય શાહી રાજ્ય સાથે તેમનું જોડાણ જાળવી રાખવાનો હતો.
ગાયકવાડ શાસકો આ ટ્રેનનો ઉપયોગ જંગલોમાંથી કિંમતી સાગના લાકડાના પરિવહન માટે કરતા હતા જોકે,ભારતની આઝાદી પછી, ગાયકવાડની બરોડા સ્ટેટ રેલ્વેનું વિલિનીકરણ કરવામાં આવ્યું અને તે પશ્ચિમ રેલ્વેનો એક ભાગ બની ગયું.
જોકે,ડિસેમ્બર 2020માં, રેલ્વે તંત્ર દ્વારા આ ઐતિહાસિક બીલીમોરા-વઘઈ ટ્રેનને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ડાંગના ભાજપના ધારાસભ્ય વિજય પટેલ, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને વઘઈના સામાજિક કાર્યકર બિપિનભાઈએ આદિવાસીઓ માટેની ટ્રેન સેવા પુન: શરૂ કરવા આંદોલન શરૂ કરી આ રૂટ પરના દરેક રેલ્વે સ્ટેશનો પર વિરોધની રેલી પણ શરૂ કરતા આખરે રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોષે બીલીમોરા અને વઘઈ વચ્ચે નેરોગેજ ટ્રેન સેવા ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીલીમોરા-વાધઈ નેરોગેજ હેરિટેજ ટ્રેન સેવા 4 સપ્ટેમ્બર 2021થી એરકન્ડિશન ટૂરિસ્ટ કોચ સાથે શરૂ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ ભાડુ ઘટાડવા થયેલી રજુઆત બાદ ભાડુ ઘટાડવા નિર્ણય લેવાયો છે.