વડોદરા મહા નગરપાલિકા દ્વારા નિમેટા પાણી શુધ્ધિકરણ પ્લાન્ટના સંપની સફાઇ કરવાની કામગીરીને લઈ આવતી કાલે શુક્રવારે પૂર્વ વિસ્તારના બે લાખ રહીશોને પાણી નહિ મળે.
સાથેજ બે દિવસ સુધી હળવા દબાણથી અને દસ મિનીટના કાપ સાથે અપૂરતા પાણી વિતરણની સમસ્યા ઉભી થશે.
આજવા સરોવરમાં આ વખતે પૂરતો પાણીનો જથ્થો હોવાના કારણે પાલિકાને ઉનાળામાં નર્મદાના નીર ખરીદવા પડશે નહીં.
જોકે, પાલિકાના પાણી પુરવઠા પ્રોજેકટ અને વિતરણ વ્યવસ્થા વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે દુષિત પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે.
આ સંજોગોમાં, શહેરીજનોને શુધ્ધ પાણી મળી રહે તે માટે નિમેટા શુધ્ધિકરણ પ્લાન્ટના સંપની વર્ષમાં એેક વખત સફાઇ કરવામાં આવે છે. જે અન્વયે 5 મેના રોજ નિમેટાના આ પ્લાન્ટના સંપની સફાઇ કરવાની હોવાથી બાપોદ ટાંકી, કપૂરાઇ ટાંકી, સોમા તળાવ બુસ્ટર, નંદધામ બુસ્ટર, સંખેડા દશાલાડ બુસ્ટર અને મહેશનગર બુસ્ટરમાંથી પાણી મેળવતા બે લાખ નાગરિકોને શુક્રવારે બપોરે અને સાંજે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. નિમેટા પ્લાન્ટના સંપની સફાઇ કરવાના કારણે પાલિકા 25 મિલીયન લિટર એટલે કે અઢી કરોડ લિટર પાણી વિતરણ કરી શકશે નહીં. નિમેટા પ્લાન્ટના સંપની સફાઇની કામગીરીના કારણે પાણીગેટ ટાંકી, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, આજવા ટાંકીમાંથી 5મેએ શુક્રવારે સાંજે અને 6ઠ્ઠીએ શનિવારે સવારે પાંચથી દસ મિનીટના પાણીકાપ સાથે હળવા દબાણથી પાણી વિતરણ કરવામાં આવશે.
જોકે,મનપાએ ભર ઉનાળે જ સફાઈનું મૂહર્ત કાઢતા લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.