વડોદરા શહેરમાં મોડી રાત્રે ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર જળ બંબાકાર સર્જાયો છે ત્યારે વડોદરા નજીક આવેલા ઉંડેરા ગામ સ્થિત તળાવની આસપાસના વિસ્તારો પણ પાણીથી તરબોળ બનતા સ્થાનિક લોકોની મુસીબતો વધી ગઈ છે.
ઉંડેરા ગામનું તળાવ પુરાણ કરવાથી પાણી તળાવની આસપાસમાં ફરી વળતા આ સ્થિતિ ઉભી થઇ રહી હોવાનું લોકોનું કહેવું છે.
તળાવની આસપાસમાં રહેતા લોકો પાણીની વચ્ચે ફસાયા હોવા અંગેની જાણ વોર્ડ નંબર-9ના ભાજપાના કાઉન્સિલર સુરેખાબહેન પટેલને થતાં તેઓ કાર્યકરો સાથે દોડી ગયા હતા પરંતુ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોએ કાઉન્સિલરને મોઢા ઉપર કહી દીધું કે તળાવના પુરાણના કારણે આ સ્થિતી સર્જાઇ છે. તમારે અહિં આવવાની જરૂર નથી અહીંથી હેડતાં થાવ તમારી કોઇ જરૂર નથી.
તળાવની આસપાસ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને લોકોને ઘુંટણસમા પાણીમાં થઇને જવાની ફરજ પડી હતી. તળાવનું પુરાણ કરવાથી અને પાણીનો નિકાલ કરવા માટે મુકેલો પમ્પ યોગ્ય કામ ન કરતો હોવાથી પરિસ્થિતિ વિકટ બની છે.
તળાવની આસપાસના વિસ્તારમાં ચારેકોર પાણી ભરાઇ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.