વડોદરામાં રોજના 7000 કિલો નકલી પનીર ઠલવાઈ રહ્યું છે અને તે જથ્થો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી આવતો હોવાની રજૂઆત વડોદરા ડેરી મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસો.દ્વારા કરવામાં આવતા મીડિયામાં અહેવાલો આવતા જ આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને ગઈકાલે મળેલી મહાનગર સેવાસદનની મળેલી સામાન્ય સભામાં વડોદરા શહેરમાં ભેળસેળયુક્ત વેચાતી ચીજવસ્તુઓને લઈને કાઉન્સિલરોએ વહીવટી તંત્રને ઘેર્યું હતું.
કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય શહેરો કરતા વડોદરામાં જ કેમ ભેળસેળયુક્ત ખાદ્યચીજો વધુ વેચાઈ રહી છે?જે તપાસનો વિષય છે.
સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલરો અલ્પેશ લીમ્બાચીયા, મનીષ પગારે, અજીત દજીત વગેરેએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં નકલી પનીરનો મોટો જથ્થો લોકો ખાઈ રહ્યા છે જે ચોંકાવનારી વાત છે આ સિવાય વેજ અને નોનવેજ જેવી તમામ ખાદ્યચીજો ખુલ્લામાં વેચાઈ રહી છે.
ખુલ્લામાં વેચાઇ રહેલી ખાદ્યચીજોના પગલે વડોદરા શહેરમાં રોગચાળો ફેલાય છે. બીજી બાજુ કોંગ્રેસના કાઉન્સિલરો અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ખુલ્લામાં ખાદ્યચીજો તો વેચાય છે પરંતુ પનીર સહિતની અનેક ચીજવસ્તુઓ ભેળસેળવાળી વેચાઈ રહી છે. રાજ્યના અન્ય શહેરો કરતા માત્ર વડોદરા શહેરમાં જ વધુ પ્રમાણમાં ભેળસેળવાળી ચીજો વેચાઈ રહી છે. જેના ઉપર નિયંત્રણ લાવવા માંગ કરી હતી.