અરબ સાગરમાં પ્રચંડ બનેલ બિપોરજોય વાવાઝોડું 15 જૂને કચ્છના દરિયાઈ તટે અથડાશે વાવાઝોડું આવે તો તેની 400 થી 500 કિમીની ત્રિજ્યામાં અસર વર્તાતી હોય છે,પરિણામે વડોદરામાં ખાસ અસર થશે નહી.
જોકે, વાવાઝોડાની અસરથી 30 થી 40 કિમીના પવનો અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહીના પગલે કલેક્ટર અતુલ ગોર દ્વારા તંત્રને સાબધું રાખ્યું છે અને અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે.
વાવઝોડાની સ્થિતિને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ લાગેલા મોટા 99 હોર્ડિંગ્સ ઉતારી લેવાયા હતા.
હવામાન શાસ્ત્રીના મત મુજબ વડોદરા શહેરમાં અગાઉ આવેલા તાઉતે વાવાઝોડા જેવી અસર નહીં વર્તાય. વડોદરા એરપોર્ટ સ્થિત વેધર સ્ટેશનના અધિકારીઓના મતે વાવાઝોડું 15 જૂને કચ્છમાં ટકરાશે જે ત્યાં વાવાઝોડું આવે તો તેની 400 થી 500 કિમીની ત્રિજ્યામાં અસર રહેતી હોય છે. જેથી વડોદરામાં વાવાઝોડાને કારણે કોઈ ખાસ તીવ્ર અસર થશે નહીં, વડોદરામાં 14 અને 15 જૂને પણ 40 કિમી સુધીના પવનો ફૂંકાઈ શકે છે.
આ ઉપરાંત થંડરસ્ટ્રોમને કારણે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કલેક્ટર એ.બી.ગોર દ્વારા શહેર-જિલ્લામાં વાવાઝોડાના કારણે કલેક્ટર કચેરીમાં જ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. વડોદરાના 8 મામલતદાર, 5 ટીડીઓ, તલાટીઓ, કલાર્ક મળીને કુલ 100 કર્મચારીઓને 16 જૂન સુધી કચેરી ન છોડવા માટે આદેશ કર્યા છે.
વાવાઝોડાના પગલે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ તકેદારી લેવામાં માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, તલાટીમંત્રી તેમજ સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહેવા તેમજ કોઈ દુર્ઘટના બને તો જિલ્લા કંટ્રોલ રૂમ પર જાણ કરવા જણાવાયું છે