વડોદરામાં મનપા જનતાના પૈસાનો ધુમાડો કરી બુધ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે અને કરોડોના ખર્ચે રોડ બનાવી માત્ર થોડાજ દિવસમાં રોડ તોડી નાખવામાં આવે છે જે વાત નગરજનોમાં ચર્ચાનો વિષય બની છે.
વડોદરામાં સોમા તળાવથી મહાનગર સુધીના ભાગમાં 14 દિવસ પહેલાં જ રૂ. 3.73 કરોડના ખર્ચે બનાવાયેલા રોડને તોડવામાં આવતા લોકોમાં આ વાત ભારે ચર્ચાસ્પદ બની છે.
આ રોડ વરસાદી ગટર લાઇન નાખવા ખોદી નખાયો હોવાની વાત સામે આવી છે.
સોમા તળાવ ચાર રસ્તાથી ગણેશનગર-મહાનગર સુધીના ભાગમાં રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ રોડ પર આવેલી નિલાંબર આંગનની સામેના ભાગ પર વરસાદી ગટરની લાઇનના જોડાણની કામગીરી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.
આ કામગીરી નવો રોડ બનતાં પહેલા કરવાની જાણ સ્થાનિક દ્વારા પાલિકાના સત્તાધીશોને કરવામાં આવી હતી. પરંતુ, 31 મેના રોજ આ નવા નક્કોર રોડની કામગીરી પૂરી થઇ ત્યારબાદ વરસાદી ગટરની લાઇનના જોડાણની કામગીરી કરવા નિલાંબર આંગન પાસે જ રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને ખોદેલા રોડ પર હવે પુરાણ કરી નવા રોડ ઉપર થિંગડું મારી પાલિકા હવે બુદ્ધિ નું પ્રદર્શન કરશે.
આમ,સંકલનનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે.