રાજ્યના સૌથી લાંબા રૂ. 230 કરોડના ખર્ચે તૈયાર થયેલા વડોદરાના અટલ બ્રિજ ઉપર માત્ર દોઢ જ મહિનામાં જ રોડ પરના પોપડા ઉખાડવા સાથે ખાડા પડવા લાગતા રોડના સમારકામ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે પગલાં ભરવા વિપક્ષી નેતા અમી રાવતે માંગ કરી છે.
અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે વડોદરાના તમામ બ્રિજ અને રોડના નિષ્ણાતોની કમિટી બનાવી તેની ચકાસણી કરવામાં આવે.
સાથેજ ફતેગંજ બ્રિજના વળાંક પર અવારનવાર થતાં અકસ્માત નિવારવા માટે કાર્યવાહી કરવામાં આવે અને
ફતેગંજ બ્રિજની ગુણવત્તામાં જવાબદાર અધિકારીઓ, પીએમસી અને કોન્ટ્રાકટર પર તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલા લેવામાં આવે. ઘટનાની તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી તેને પેમેન્ટ ચૂકવવામાં ન આવે અને બ્રિજને બંધ કરવામાં આવે. લાલબાગ બ્રિજ પર પણ અકસ્માત થાય છે.
ફોલ્ટી ડિઝાઇનના કારણે ટ્રાફિક જંકશન ઊભું કરવું પડ્યું છે.
અકોટા દાંડિયા બજાર બ્રિજ, દરબાર ચોકડી બ્રિજ, શાસ્ત્રી બ્રિજ, અટલ બ્રિજ જંકશનના લેન્ડિંગ સીધા ટ્રાફિક સર્કલ ઉપર થાય છે તેના કારણે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાનું જણાવી તે અંગે ત્વરિત કાર્યવાહી કરવા માંગ થઈ છે.