વડોદરામાં ખૂબ ગાજેલા બરોડા ડેરીમાં ડિરેક્ટરોના સગાઓને જ નોકરી પર રખાતા હોવા અંગેની વાત સહિતના કૌભાંડ મામલે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સાવલીના ધારાસભ્ય સહિત જિલ્લાના પાંચ ધારાસભ્યોની ટીમ હવે કૌભાંડ જાહેરમાં ખુલ્લું પાડવા એક થયા છે અને આ નેતાઓની હાજરીમાં વરણામાના ત્રિમંદિર ખાતે શુક્રવારના રોજ પશુપાલકો સાથે સવારે 11 કલાકે મળનારી બેઠકમાં ડેરીમાં થતા ભ્રષ્ટાચાર અને પશુપાલકોને લાભ મળે તે અંગે ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં વડોદરા જિલ્લા તથા છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકો તેમજ દૂધ ઉત્પાદકોને પણ ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
બરોડા ડેરી દ્વારા પશુપાલકોને કિલો ફેંટે ઓછા ભાવ આપવા, ગ્રામ્ય મંડળી માંથી અંદાજે રૂપિયા 25 થી રૂપિયા 40 સુધીની ખરીદી કરી ને બજારમાં વેચાણ ભાવ રૂપિયા 65 લેતા હોય તો તેનો સીધો લાભ પશુપાલકોને મળવો જોઈએ જે નથી મળી રહ્યો.
ગ્રામ્ય દૂધ મંડળીઓ બંધ થઈ રહી છે જે અટકાવવા પગલાં ભરવા સહિત રૂટના વાહનોમાં થતી ચોરી ,જેના લીધે મંડળીઓના દૂધમાં એસએનએફના પ્રશ્નો મામલે ચર્ચા કરવા સહકારી ક્ષેત્રના મુખ્ય આગેવાનો, પશુપાલકો સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાજર રહેશે અને તેઓ ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને પશુપાલકોના હિત માટે ચર્ચા થશે.