આજકાલ ઠગ વિદ્યામાં પારંગત લોકો અવનવા આઈડિયા લાવી કમાવાના રસ્તા શોધી ફટાફટ ઓફીસ ભાડે લઈ નોકરી ઉપર માણસો રાખી લાઈટનો ઝગમગાટ ઉભો કરી મોટા બિઝનેસમેન હોવાનો દેખાવ ઉભો કરી કોઈ સ્કીમ બતાવી પૈસા ખંખેરી લેતા હોય છે અને બાદમાં બીજાના પૈસે લીલા લહેર કરે છે પણ જ્યારે પૈસા આપવાના આવે ત્યારે આ કહેવાતા બિઝનેસમેનોને પેટમાં દુઃખે છે અને હાથ ઊંચા કરી દઈ દાદાગીરી કરતા હોવાના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે,આવા લોકો બેશરમ હોય છે બાદમાં ઉઘાડા પડી જતા હોવાછતાં તેઓને કોઈ ફરક પડતો નથી.
વડોદરામાં પણ કંઈક આવા પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે અહીં સસ્તા અનાજની કિટની લોભામણી સ્કીમની જાહેરાત કરી એક મહિનામાં જ 1700 લોકો પાસેથી 42.50 લાખ ઉઘરાવ્યા બાદ આ પૈસા શેર બજારમાં ફેરવી પૈસા બનાવવાની નેમ ધરાવનાર પિયુષ પ્રજાપતિ નામના ઇસમ સામે જે.પી રોડ પોલીસ મથકમાં ફરિયાદ થતા તેની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનામાં ફરિયાદ કરનાર જયદીપ રાઠોડનું કહેવું છે કે તેઓને માહિતી મળી હતી કે, નારાયણ વાડી શીવમ ટેર્નામેન્ટ સ્થિત એક ઓફિસમાં સી.ટી ગ્રુપ ગરીબ પરિવારનો રુપિયા 2500 લઈને એક વર્ષ માટે અનાજની 33 જાતની કીટ આપવામા આવે છે ત્યાં જતાં ઓફિસમાં પિયુષ પ્રજાપતિ પોતે હાજર હતો અને અનાજની કિટ માટેનું ફોર્મ ભર્યું હતું અને રૂ.2500 ચૂકવી દીધા હતા.
જોકે,બાદમાં જયદિપ ભાઈને જાણ થઈ હતી કે, પિયુષ લોકો પાસેથી રુપિયા લઈને છેતરપીંડી કરી રહ્યો છે અને તે ફ્રોડ છે.
જયદીપભાઈ જ્યારે તેની ઓફિસે પહોંચ્યા ત્યારે ઓફિસની બહાર લોકોની લાઈનો લાગી હતી પણ પિયુષ ત્યાં હાજર નહોતો.
જ્યારે પિયુષ ઓફિસે આવ્યો ત્યારે લોકોએ રુપિયા માંગતા તેણે હાથ ઉપર કરી દીધા હતા કે મારી પાસે હાલમાં રુપિયા નથી.
બીજી તરફ પિયુષની પ્રાથમિક પુછતાછમાં તેણે એવું કહયુ કે તેણે 1700 સભ્યો બનાવ્યા હતા અને 1300 લોકોને પૈસા પાછા આપી દીધા છે. હાલના તબક્કે તપાસ ચાલુ છે.
માત્ર એક જ મહિનાના ટુંકા ગાળામાં પિયુષ પ્રજાપતિએ લોકોના 1700 રજીસ્ટ્રેશન મેળવી રુપિયા 42.50 લાખ લઈ લીધા હતા.
પોલીસે તેના 4 થી 5 બેન્ક એકાઉન્ટની તપાસ કરતા તેના ખાતામાંથી માત્ર 4 લાખ રુપિયા મળી આવ્યા હતા.
આ સ્કીમમાં લોકો પાસેથી રુપિયા ઉઘરાવીને પિયુષ રુપિયા શેર બજારમાં રોકવાનો હતો અને તેમાથી જો નફો થાય તો લોકોને અનાજની કિટ આપવાનો પ્લાન હતો પણ તે પહેલા જ ભાંડો ફુટી જતા લોકો તેની ઓફિસે પહોંચી જઈ હોબાળો મચાવ્યો હતો.
તપાસ દરમિયાન ઓફિસમાં કામ માટે વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ 7000 હજારના પગારે નોકરી પર રાખ્યા હતા.
જોકે, પિયુષે તેઓને પણ સેલેરી આપી નહિ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.