વડોદરાના ડભોઈ તાલુકાના ફરતીકુઈ નજીક આવેલી દર્શન હોટલમાં ગઈ રાતે 7 શ્રમિકોના મોત થયા છે. 7 શ્રમિકોનમા મોત મામલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. આ મામલે મૃતક મહેશના દીકરા નિલેશ પાટણવાડીએ ફરિયાદ કરી છે.
મૃતકના દીકરાએ હોટલના માલિક હસન અબ્બાઝ ઈસ્માઈલ સામે ફરિયાદ કરી છે. આ મામલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં 304ની કલમ હેઠળ ફરિયાદ થઈ છે. મળતી માહિતી મુજબ રાતે સાડા બાર વાગ્યાની આસપાસ હોટલ બંધ થયા બાદ ખાળકુવાની સફાઈ માટે એક શ્રમિક અંદર ઉતર્યો હતો. બાદમાં તે કામગીરી દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો.
એકને બચાવતાં અન્યના મોત:
આ શ્રમિકને બચાવવા માટે અન્ય શ્રમિકો પણ ખાળકુવામાં અંદર ઉતર્યા પણ ઝેરી ગેસના કારણે તેઓનું પણ મોત થયું. ખાળકુવામાં ઝેરી ગેસના કારણે ગૂંગળાવાથી તેઓનાં મોત થયા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડભોઈ ફાયર વિભાગે છ કલાકની ભારે જહેમત બાદ શ્રમિકોનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારે હવે પોલીસે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથધરી છે.