વડોદરામાં બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. . વડોદરાના અલકાપુરી વિસ્તારમાં વૈભવી ઓફીસ બનાવીને કેનેડાના વિઝાના બોગસ સ્ટીકર લગાડીને લગભગ દોઢસોથી વધુ વ્યક્તિઓની સાથે છેતરપીંડી કરતી ટોળકીના બે સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના એકનો સમાવેશ થયો છે. જ્યારે દિલ્હી સ્થિત ભેજાબાજની તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી સંપતરાવ કોલોની વિસ્તારમાં આવેલ બી.આર. કન્સલટન્સીની ઓફીસ પર પોલીસે દરોડા પાડ્યા હતા. આ ઓફીસ ચલાવતા મહેશભાઇ ખોડાભાઇ રબારી અને અમદાવાદના ચિરાગ પદમાકાંત ભટૃની પુછપરછ કરતા તેઓએ કબુલાત આ કૌભાંડની કબૂલાત કરી હતી. આ બન્ને અને દિલ્હીનો વિકાસ શર્મા ત્રણે જણા ભેગા મળી કેનેડા જવા માંગતા વ્યકિતઓ પાસેથી નાણાં લઇ તેઓને ઇ.ટી.એ.ના સ્ટીકર લગાવી આપતા હતા. જે ઇ.ટી.એ. ભારત દેશના નાગરીકો માટે માન્ય નથી. છતાં ઓનલાઇન વેરીફીકેશન કરતા એપ્રુવલ દેખાડે છે. જેના આધારે વડોદરા અને આજુ બાજુના વિસ્તારમાં આશરે દોઢસો ઉપરાંત વ્યક્તિઓની તેમની માયાજાળમાં ફસાવી હતી.
આ ભેજાબાજો દ્વારા આ વિઝા માટે તેઓના બેઝીક ડોકયુમેન્ટ અને નોન રીફન્ડેબલ ફીના રૂ.૨૫,૦૦૦/- માંગતા હતા. ઇ.ટી.એ. આવી જતાં બે લાખ થી લઇને પાંચ લાખ સુધીની રકમ માંગતા હતા. તેઓના પાસપોર્ટ ઉ૫ર વિકાસ શર્મા વિઝાનું સ્ટીકર લગાવી આપતો હતો. આ ઇટીએના સ્ટીકરની કેનેડાની એમ્બેસી પાસે તપાસ કરતા ખોટા હોવાની વિગતો મળી આવી હતી. જેના પગલે પોલીસે મહેશભાઇ રબારી તથા ચિરાગ ભટ્ટની ધરપકડ કરી હતી. જ્યારે વિકાસ શર્મા આ સ્ટીકરો કયાં થી અને કેવી રીતે મેળવતો હતો? તેની તપાસ શરૂ કરી દીધી હતી. હાલમાં ઉ૫રોકત બન્નેની ધરપકડ કરી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ માટે એસઓજીના પીઆઇ એચ.એમ.ચૌહાણે તપાસ શરૂ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા આ બંન્નેની સામે આવા જ પ્રકાર અમદાવાદના એલીસબ્રીજ અને ભરૂચમાં ગુના નોંધાયેલા છે.