વડેદરાઃ તાજેતરમાં વડોદરા શહેરમાં બનેલા સોની પરિવાર સામૂહિક આપઘાતની ઘટનામાં જ્યોતિષીની કારણ બહાર આવ્યા બાદ પોલીસે નવ જ્યોતિષીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. સોની પરિવારને આપઘાત કરવાની હાલત સુધી લાવનાર 9 જ્યોતિષી પૈકી બે જ્યોતિષીની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા બે જ્યોતિષીઓ પૈકી એક જ્યોતિષે સોની પરિવાર પાસેથી વિધિના નામે રૂપિયા 4 લાખ અને બીજા જ્યોતિષે રૂપિયા 3.50 લાખ પડાવ્યા હતા.
પકડાયેલા એક જ્યોતિષી ગજેન્દ્રએ ચાર લાખ લઇને વિધિ પણ કરી ન હતી અને પોતે મૃત છે તેવું જણાવ્યું હતું. અન્ય પકડાયેલા સાહિલ વ્હોરા ઉર્ફ સીતારામ ભાર્ગવે સોની પરિવાના ઘરે કળશ વિધિ કરી હતી અને જમીનમાં દાટેલા જૂના સિક્કા બહાર કાઢ્યા હતા. પરંતુ તે પરિવારને આપ્યા ન હતા આ સાથે 3.50 લાખ પણ લઇ ગયો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોની પરિવારને આપઘાત કરવા માટે મજબૂર કરનાર લેભાગુ જ્યોતિષીઓની ટોળકીના 9 સાગરીતો પૈકી બે મળી આવ્યાં છે. રાજસ્થાનના નાગરા તાલુકાના ખીનચર ગામમાં રહેતા ગજેન્દ્ર ભાર્ગવ અને કુચેરા ગામમાં સાહિલ વ્હોરા ઉર્ફ સીતારામ ભાર્ગવની ધરપકડ કરવામાં આવી છે.
આ જ્યોતિષીઓની ટોળકીનો સૂત્રધાર વડોદરા ગોત્રી વિસ્તારનો રહેવાસી અને હાલ ફરાર હેમંત જોષી છે. હેમંત જોષી દ્વારા જ સોની પરિવાર રાજસ્થાનના ઠગ જ્યોતિષ ગજેન્દ્ર ભાર્ગવ અને સાહિલ વ્હોરા ઉર્ફ સીતારામ ભાર્ગવના સંપર્કમાં આવ્યા હતા.
સોની પરિવારને ફસાવનાર હેમંત જોષીએ ગોત્રીનું મકાન ઘણા સમય પહેલાં બદલી નાંખ્યુ હતું. તેનું અસલ નામ હેમતારામ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે પાણીગેટ આર્યુવેદિક કોલેજ પાસે રહેતો સાહિલ વ્હોરા નામના જ્યોતિષની પણ તપાસ કરી હતી. સાહિલ વ્હોરાએ નરેન્દ્ર સોનીને ત્યાં વિધિ કરી હતી અને ખાડો ખોદી ચાંદીના 10 સિક્કા તેમજ વર્ષ 1920ના કેટલાક સિક્કા કાઢ્યા હતા.
આ સિક્કા તેણે નરેન્દ્રભાઇને આપ્યા નહતા અને પોતાની સાથે લઇ ગયો હતો.આ ઉપરાંત વિધિ કરવા બદલ સાહિલે 3.50 લાખ પડાવ્યા હતા. પોલીસે રાજસ્થાન ખાતેથી સીતારામ ભાર્ગવને ઝડપી પાડતાં તે પોતે જ સાહિત વ્હોરા હોવાનું નામ બહાર આવ્યું છે.
આ ઉપરાંત અન્ય આરોપી ગજેન્દ્ર ભાર્ગવે વડોદરા આવીને વિધિ કરવાના નામે 4 લાખ રૂપિયા પડાવ્યા હતા. 4 લાખ રૂપિયા લીધા પછી વિધિ કરવા માટે જ આવ્યો ન હતો. સોની પરિવારે હેમંત જોષીનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે, ગજેન્દ્ર ભાર્ગવનું મૃત્યું થયું છે, જેથી આવશે નહીં. વાસ્તવમાં ગજેન્દ્ર ભાર્ગવ જીવતો હતો અને પોતાના ગામમાં દરજીકામ કામ કરતો હતો.