વલસાડઃ તા. ૦પઃ કોઇપણ વ્યકિત સાથે વાત કરો તો સામેનો વ્યક્તિ કોરોના પોઝીટીવ જ છે, એમ સમજી હંમેશા માસ્ક બાંધી સોશિયલ ડિસ્ટન્સ ‘દો ગજ કી દૂરી’ રાખી ને જ કરો, આ શબ્દો કોરોનાને માત આપી પુનઃ નોકરીમાં કાર્યાન્વિત થયેલ વલસાડ મહેતવાડના રહેવાસી જીજ્ઞેશભાઇ રાવલના છે.
આજે કોરોના વાઇરસ વધુ વકરતો જાય છે. અનેક લોકો સંક્રમિત થઇ રહયા છે. કોરોનાના સંક્રમણથી બચવા સતત પ્રયત્નશીલ રહેવા છતાં અજાણતા સંક્રમિત બનવાના કિસ્સા પણ આવી રહયા છે. ત્યારે આવા જ સંક્રમણના ભોગ બનેલા વલસાડ મહેતવાડમાં રહેતા અને વાપી વેલસ્પન કંપનીમાં નોકરી કરતા જીજ્ઞેશભાઇ રાવલ કોરોનાને માત આપી સ્વસ્થ બની આજે બીજા માટે પ્રેરણાસ્રોત બન્યા છે.
જીજ્ઞેશભાઇ જણાવે છે કે, મને પાંચની જૂને તાવ આવ્યો. સ્થાનિક તબીબે સિવિલ હોસ્પિટલમાં રીફર કરતાં તા. ૭મી જૂને કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો. સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં જરા પણ ગભરાયા વગર કોરોનાનો સામનો કરવા મન મક્કમ કરી દીધું. ભારત મંત્રાલયના આયુષ વિભાગની માર્ગદર્શિકા અનુસાર ગરમ પાણી, હળદરવાળું દૂધ, લીંબુપાણી સતત ચાલુ રાખ્યું. ઉપરાંત સાચા અર્થમાં કોરોના વોરિયર્સ એવા સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯ના ડૉકટર્સ અને સ્ટાફની તબીબી સારવાર થકી બાર દિવસ બાદ રજા આપવામાં આવી .
આ તરફ જીજ્ઞેશભાઇ સંક્રમિત થયા હતા પરંતુ પરિવારના માતા-પિતા, પત્ની-બાળક, ભાઇ-ભાભી તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલ વલસાડની સેવાથી પ્રભાવિત થઇને જીજ્ઞેશભાઇ જણાવે છે કે, અહીં ફરજ બજાવતા ડૉક્ટર્સ દ્વારા સતત ચેકઅપ, નર્સિંગ સ્ટાફ દ્વારા સારવાર, સમયસર દવા આપવાની સાથે જે જરૂરિયાત હોય તે પૂરી પાડવા માટેની સતત તત્પર રહે છે. આ ઉપરાંત રૂમ, બાથરૂમ, ટોઇલેટની સાફ સફાઇ ખાનગી હોસ્પિટલ કરતાં વિશેષ રાખવામાં આવી છે. કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલની સેવા અતુલ્ય છે, એમ કહેવામાં કોઇ ખોટું નથી.
જીજ્ઞેશભાઇ એકદમ સ્વસ્થ થઇને તા.૪થી જુલાઇએ કંપનીમાં નોકરી ઉપર જતાં કંપની દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વેલસ્પન કંપની સ્ટાફને પોતાનો પરિવાર માને છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. આ કાર્ય કંપનીના કર્મચારીઓમાં હિંમત પૂરી પાડે છે.
આજે દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમણથી બચવા માસ્ક ફરજીયાત પહેરવા, દો ગજ કી દૂરી રાખવા તથા વારંવાર હાથ ધોવા, બિનજરૂરી બહાર ન નીકળવાની સાથે આયુર્વેદિક ઉપચાર એવા ગરમ પાણી, લીંબુપાણી, હળદરવાળું દૂધ, તેમજ ઉકાળો પીવા જીજ્ઞેશભાઇ આગ્રહભરી વિનંતી કરે છે.
લોકડાઉનમાંથી આપણને થોડી મુક્તિ આપી છે, પણ કોરોનાએ મુક્તિ આપી નથી. પણ કોરોના હજુ ગયો નથી. કોરોનાથી બચવાના નિયમો અને ઉપાયો અજમાવો એજ આજના સમયની માંગ છે.