ઉમરગામના બિલ્ડરનું કારમાં ચાર ઈસમો દ્વારા કરાયેલા અપહરણ પ્રકરણ માં બિલ્ડર નો છુટકારો થયો હોવાની વિગતો સામે આવી રહી છે અને આઠમા દિવસે અપહત બિલ્ડર પોતાના ઘરે પહોંચતા પરિવારજનો એ રાહત નો દમ લીધો છે પોલીસે આ ઘટના માં સાત જેટલા ઈસમો ની અટકાયત કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે.
વિગતો મુજબ ઉમરગામના અકરામારૂતિ નજીક દયાળપાર્ક બંગલા માં રહેતા અને આ વિસ્તારના જાણીતા બિલ્ડર જિતુભાઇ પટેલ (ઉ.વ.45)નું ગત 22મી માર્ચની રાત્રીએ બે કારમાં આવેલા ચાર અજાણ્યા ઇસમો અપહરણ કરી ગયા હતા. અપહ્ત બિલ્ડરને છોડાવવા માટે જિલ્લા પોલીસની તમામ એજન્સી અને ટીમો કામે લાગી હતી.
જોકે, આઠ દિવસ બાદ જિતુ પટેલની ભાળ મળતાં અનેક સવાલો અને તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. પોતાના મિત્રો સાથે રોજની માફક રાત્રીએ મળીને ઘરે દયાળપાર્ક ખાતે પહોંચવાના 200 મીટર અંતરે જાહેર માર્ગ ઉપર તેમની કાર સામે કાર ઉભી કરી દઈ ફિલ્મી સ્ટાઇલ થી જીતુભાઈ નું અજાણ્યા ઈશમો અપહરણ કરી ગયા મામલે ઉમરગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ત્યારે અહેવાલો આવી રહ્યા છે કે બિલ્ડર જીતુ પટેલ નો છુટકારો થયો છે અને પોલીસે આ અપહરણ મામલે સાત જેટલા અપહરણકારો ને પણ દબોચી લીધા હોવાની માહિતી જાણવા મળી છે.