વલસાડઃ તા.૧૧ જુલાઈ
શિક્ષણ એજ શ્રેષ્ઠ કલ્યાણ સુત્રને સાર્થક કરવા માટે વલસાડના સરોધી કા મહારાજા યુવા ગૃપ દ્વારા સરહદી વિસ્તારની અસલકાંટી કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક શાળાના બાલવાટિકા થી લઈ ધો. ૮ સુધી કુલ ૮૦ થી વધુ માતા કે પિતા વિનાના બાળકોને દફ્તર, નોટબુક, પેન્સિલ, રબર, બોલપેનની કિટ વિતરણ કરવામાં આવી હતી. આ વર્ષે આ સંસ્થા દ્વારા કુલ ૫૦૦ કિટનું વિતરણ કરવામાં આવ્યુ છે.
જન્મદિન લગ્ન એનિવર્સરી કે કોઇ સ્વજનોની પુણ્યતિથિએ આપેલ દાન દ્વારા શિક્ષણ એ જ શ્રેષ્ઠ કલ્યાણ સેવાયજ્ઞ પ્રજ્વલિત થઈ રહ્યો છે. જેનું સમગ્ર સંચાલન શિક્ષક દંપત્તિ સ્નેહલભાઇ અને ચાંદનીબેન તેમજ આનંદભાઇ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. શૈક્ષણિક કીટ દરમિયાન કપરાડા તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર સંજયભાઈ બી. મકવાણા, સી.આર.સી. કો-ઓર્ડીનેટર પ્રિયંકાબેન ઠાકોર તથા કેન્દ્ર શિક્ષક ધર્મેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦૦-