વલસાડ તા.16 જુલાઈ
ગુજરાત સરકારશ્રીના પર્યટન સ્થળોના વિકાસ અર્થે જિલ્લા ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ એસટી નિગમ વલસાડ દ્વારા વિભાગીય નિયામક એન એસ પટેલના માર્ગદર્શન હેઠળ વલસાડ ડેપો ખાતેથી તા. 9 જુલાઈના રોજથી પ્રવાસન સ્થળોએ ફરવા જવા માટે વલસાડ થી સુલીયા ડુંગર બસ શરુ કરવામાં આવી હતી જેને પ્રચંડ પ્રતિસાદ મળતા વધુ એક નવા રુટ ઉપર વલસાડ થી સુથારપાડા વાયા પારડી, નાનાપોઢા, પાંડવકુંડ, ચાવશાળા ચેકડેમ થઇ સુથારપાડા માટે નવા રૂટ ઉપર તા. 16 જુલાઈને રવિવારથી નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
જે બસને વલસાડ બસ સ્ટેન્ડથી વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આ સિવાય વાપી ડેપો ખાતેથી પણ વાપી-સુલીયા ડુંગર વાયા પારડી નાનાપોંઢા ધરમપુર બાયપાસ થઈ પીપરોલ વેલી વેલ્યુ, વિલ્સન હિલ, શંકર ધોધ, મોટી કોરવડ, સુલીયા ડુંગર સુધીની અન્ય વધારાની એક બસ પણ આજરોજથી શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે એસટીના વિભાગીય નિયામક એન.એસ.પટેલ, ડીટીઓ સ્નેહલ પટેલ, વલસાડ ડેપો મેનેજર અનિલ અટારા ઉપસ્થિત રહ્યા હતા.