—રાજ્યના જળસંપત્તિ મંત્રી મુકેશ પટેલે નાની દાંતી-મોટી દાંતી ગામમાં રૂ. ૩૩ કરોડના ખર્ચે બનનારી ૧૪૯૦ મીટર લાંબી પ્રોટેકશન વોલના સ્થળનું નિરિક્ષણ કર્યુ
— અમેરિકાના એન્જિનિયરે તૈયાર કરેલી ડિઝાઈનના આધારે ગોવા બાદ ગુજરાતમાં સૌ પ્રથમ વલસાડ ખાતે પાઈલ આધારિત પ્રોટેકશન વોલ બનશેઃ મંત્રી મુકેશભાઈ પટેલ
— બંને ગામના ૮૯૦ ઘરોના ૧૩ હજાર લોકોને આવનારા ૫૦ વર્ષ સુધી દરિયાઈ ભરતીના પાણીથી મુક્તિ મળશે
વલસાડ તા. ૭ જુલાઈ
સમુદ્ર કાંઠે આવેલા વલસાડ તાલુકાના નાની દાંતી- મોતી દાંતી ગામમાં દરિયાઈ ધોવાણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૩ કરોડ ૬૫ લાખના ખર્ચે ૧૪૯૦ મીટર (દોઢ કિમી) લાંબી પ્રોટેક્શન વોલ અમેરિકાની કંપની દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઈનના આધારે બનવા જઈ રહી છે.
જેની કામગીરી પૂર્વે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના રાજ્યના કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે આજે તા. ૭ જુલાઈને શુક્રવારે સ્થળ નિરિક્ષણ કર્યું હતું. સાથે જ ગ્રામજનો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
વલસાડ તાલુકાના સમુદ્ર કાંઠે અને અંબિકા નદીના મુખ પર આવેલા નાની દાંતી અને મોતી દાંતી ગામના ૮૯૦ ઘરોમાં અંદાજે ૧૩ હજાર લોકો વસવાટ કરે છે. ગામનો અંદાજિત ખેતીલાયક વિસ્તાર ૧૫૦ હેકટર છે.
ગામનો મુખ્ય વ્યવસાય માછીમારી છે જેના પર સ્થાનિકોનું જીવન નભે છે પરંતુ દરિયાઈ ભરતી અને પવનની વધુ ગતિના કારણે ભરતી સમયે વધુ ઉંચાઈના મોજા કિનારની જમીન સાથે સતત ટકરાવાના કારણે કિનારાની જમીનનું સતત થતા લોકોના ઘર અને જાનમાલને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. જેથી સીઆરઝેડની મંજૂરી મળ્યા બાદ રૂ. ૩૩૬૫.૦૭ લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યો છે. જેની કામગીરી શરૂ થાય તે પૂર્વે રાજયકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે શુક્રવારે બંને ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે મંત્રી પટેલે જણાવ્યું કે, દરિયાઈ ભરતીના પાણીને ગામમાં પ્રવેશતા અટકાવવા માટે ૨ થી ૩ ટનના પથ્થરોની પ્રોટેક્શન વોલ બનાવવામાં આવતી હતી પરંતુ થોડા સમય બાદ ભરતીના મોજાની થપાટના કારણે પથ્થરો નીકળી જતા નીચેથી પાણી ગામમાં ધસી આવે છે. આવી પ્રોટેકશન વોલનું આયુષ્ય ૫ થી ૬ વર્ષ હોય છે જેથી તેને બનાવવાનો કોઈ અર્થ રહેતો નથી. જેથી હવે ગુજરાતમાં પ્રથમવાર અમેરિકાના એન્જિનિયર દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઈનના આધારે પાઈલનો ઉપયોગ કરી ફેબ્રિક સીટના આગળ મોટા પથ્થરોનું આર્મર લેયર કરી પ્રોટેકશન વોલ બનાવાશે જેનું આયુષ્ય ૫૦ વર્ષ સુધી રહેશે જેથી આવનારી પેઢીને પણ મુશ્કેલી પડશે નહીં. ગોવા પછી નમૂનારૂપ પ્રોટેકશન વોલ ગુજરાતમાં પ્રથમવાર વલસાડના નાની દાંતી મોટી દાંતી ગામમાં બનશે. પ્રોટેકશન વોલની કામગીરી માટે માત્ર પથ્થરો ભારતના હશે એ સિવાય બાકી તમામ મટીરીયલ પણ અમેરિકાથી આવશે. જેથી મજબૂત કામ થશે કોઈને ભવિષ્યમાં પણ તકલીફ પડશે નહીં એ રીતે કામગીરી કરવામાં આવશે.
આ દરમિયાન વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે ગ્રામજનોની ધીરજની પ્રસંશા કરી તેઓને ખાતરી આપતા જણાવ્યું કે, અમેરિકાની ડિઝાઈનના આધારે બનનારી પ્રોટેક્શન વોલથી તમારી દરેક સમસ્યાનો અંત આવશે. આ પ્રોટેકશન વોલના કામ માટે હાલમાં રૂ. ૩૩૬૫.૦૭ લાખ મંજૂર થયા છે પરંતુ તેમ છતાં વધુ નાણાંની પણ ફાળવણી થશે. મંત્રીશ્રીએ સમુદ્ર કાંઠાનું નિરિક્ષણ કરી પ્રોટેકશન વોલ ક્યાંથી ક્યાં સુધી બનશે તેની જાણ માહિતી પણ વિસ્તારપૂર્વક અધિકારીઓ પાસેથી મેળવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, દક્ષિણ વિભાગના નાયબ વન સરંક્ષક ઋુષિરાજ પુવાર, દમણગંગા વર્તુળના અધિક્ષક ઈજનેર એસ.સી.પટેલ, કાર્યપાલક એન્જિનિયર એમ.એમ.ગાવિત, નાયબ કાર્યપાલક ઈજનેર એચ.કે.પટેલ, વલસાડ તાલુકા મામલતદાર તેજલ પટેલ, ગામના સરપંચ અમ્રતભાઈ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોટેશન વોલની વિશેષતા સમજાવતા એન્જિનિયર મૌલિન ચોકસીએ જણાવ્યું કે, અમેરિકાની કંપની દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઈન વાળી પ્રોટેશન વોલ હાલ દેશમાં સૌપ્રથમ ગોવા ખાતે બનાવવામાં આવી છે. જે ઝીક- ઝેક આકારની છે. જે સમુદ્રના મોજાની થપાટને ઝીલી લે છે. પાઈલ આધારિત પ્રોટેક્શન વોલ ૪ મીટર જમીનની અંદર અને ૬ મીટર જમીનથી ઉપર રહેશે. જેથી હાલમાં પથ્થરના નીચેના ભાગથી ગામમાં પ્રવેશતુ પાણી અટકશે સાથે સાથે કુવા અને તળાવના પાણી પણ ખારા થતા અટકશે અને દરિયા કાંઠાનું ધોવાણ પણ અટકશે. આ પ્રોટેકશન વોલ ઉપર ૬ મીટરનો પહોળો આરસીસી રોડ બનશે. જેના પર ટુરિઝમ સ્થળ તરીકે સહેલાણીઓ હરી ફરી પણ શકશે.
મંત્રી મુકેશ પટેલે ઝીંગા પકવનાર માછીમારોના શોષણનો મુદ્દો ઉઠાવી જણાવ્યું કે, ઝીંગાના વેપારીઓ તેમજ ફેકટરી માલિકો રિંગ બનાવી રૂ. ૪૦૦નો ભાવ હોય તો માત્ર ૨૫૦નો ભાવ આપે છે. જેના કારણે માછીમારોનું શોષણ થાય છે. આ રીંગ તોડવા માટે મંડળી બનાવવામાં આવશે. જેના થકી સ્થાનિકોને રોજગારી પણ મળશે. દરિયાનું ધોવાણ અટકાવવા માટે મેન્ગ્રુવનું વાવેતર અંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે કહ્યું કે, મેન્ગ્રુવનું વાવેતર થાય તે માટે મંડળી બનાવવામાં આવશે જેનાથી સ્થાનિકોને રોજગારી મળશે. સાથે દરિયાનું ધોવાણ પણ અટકશે.