વલસાડમાં NOC વગરના કોમર્શીયલ અને રેસિડેન્શિયલ બિલ્ડીંગો સામે પાલિકાએ લાલ આંખ કરી છે અને સીલ મારવાની કાર્યવાહી શરૂ થતાં સબંધિત વર્તુળોમાં ફફડાટ ફેલાયો છે.
વલસાડમાં તપાસ દરમિયાન 10 કોમર્શીયલ અને રેસિડેન્સીયલ એપાર્ટમેન્ટ સંચાલકોએ ફાયર વિભાગની NOC મેળવેલી ન હોવાનું સામે આવતા આવા બિલ્ડિંગ સિલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ પાલિકાએ બિલ્ડીંગ સંચાલકોને અગાઉ વારંવાર ફાયર વિભાગની NOC મેળવી લેવા અને ફાયર સેફટીના સાધનો લગાડવા અંગે સૂચના આપવા છત્તા કોઈ કોઈ પરિણામ નહિ આવતા આખરે પાલિકાની ટીમે બિલ્ડીંગ સીઝ કરવાની કામગીરી હાથ ધરતા ભારે દોડધામ મચી હતી.
જે બિલ્ડિંગ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવા બિલ્ડિંગમાં તિથલ રોડ ઉપર આવેલા મહાલક્ષ્મી ટાવર, મેઘરચના ટાવર, પ્લાઝા એપાર્ટમેન્ટ, એવન્યુ એપાર્ટમેન્ટ, બંદર રોડ ઉપર આવેલ ઓવર સાઇન ટાવર, હાલર રોડ ઉપર આવેલ આકાશ ગંગા એપાર્ટમેન્ટ, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ, પરાગજી ટાવર સહિતની 10 બિલ્ડીંગોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં હાઇરાઈઝ બિલ્ડિંગના 7માં મળે આવેલા એક ફ્લેટમાં આગની ઘટના બન્યા બાદ વલસાડમાં આવી ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે.