— વર્ષ ૧૮૮૮માં અંગ્રેજોએ ધરાસણામાં સ્થાપેલા થાણામાં આજે પણ જેલ મોજૂદ, જેમાં સત્યાગ્રહીઓને પૂર્યા હતા
— આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ધરાસણા મીઠા સત્યાગ્રહે સમગ્ર વિશ્વને અહિંસક આંદોલનનું મહત્વ સમજાવ્યું
— સત્યાગ્રહનું રિપોર્ટિંગ કરનાર અમેરિકન પત્રકાર વેબ મિલર લખે છે કે, ૨૨ દેશમાં ૧૮ વર્ષના મારા રિપોર્ટિંગમાં મે ધરાસણા જેવા ભયાનક દ્રશ્યો જોયા ન હતા
(આલેખનઃ જિજ્ઞેશ સોલંકી)
વલસાડ, તા. ૧૨ ઓગસ્ટ
ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન વર્ષ ૧૯૩૦માં મીઠા પર લગાવવામાં આવેલા વેરાના વિરોધમાં વલસાડ તાલુકાના ધરાસણા ગામમાં સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. જે ઈતિહાસના પાને અંગ્રેજોની ક્રુરતા અને ભારતની અહિંસક ચળવળ તરીકે જાણીતો છે.
આગામી તા. ૧૫ ઓગસ્ટે વલસાડમાં રાજ્યકક્ષાના ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ધરાસણા સત્યાગ્રહમાં શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને પોતાના લોહીનું બલિદાન આપનાર આઝાદીના ઘડવૈયાઓની વીરતા અને શૌર્યને નત મસ્તક થઈ સલામ અવશ્ય કરવી પડે. આજે પણ ધરાસણા ગામનું મીઠા સ્મારક અને વર્ષ ૧૮૮૮માં અંગ્રેજોએ ધરાસણામાં સ્થાપેલુ થાણુ હજારો સત્યાગ્રહીઓના સંઘર્ષની દાસ્તાન વર્ણવતુ હોય એવુ ભાસી રહ્યું છે.
વલસાડ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણને મળેલી આ મહામૂલી આઝાદી પાછળ દેશના હજારો- લાખો વીર સપૂતોનું ત્યાગ, બલિદાન અને સંઘર્ષની શૌર્ય ગાથા છે. દેશની આઝાદી માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ અનેક મોટા સત્યાગ્રહો થયા હતા તે પૈકીનો એક સત્યાગ્રહ એટલે વલસાડના ધરાસણા ગામનો મીઠા સત્યાગ્રહ. ધરાસણા સત્યાગ્રહની સ્મૃતિ અવશ્ય થાય એ સ્વાભાવિક છે.
ધરાસણા ગામના ઉપસરપંચ વિજયભાઈ પટેલ આ ઐતિહાસિક સત્યાગ્રહ વિશે જણાવે છે કે, જ્યારે આ સત્યાગ્રહ થયો હતો, ત્યારે મારા પિતાજી ભૂલાભાઈ પટેલ ૧૩ વર્ષના હતા. તેઓ પાસે અને ગામના વડીલો પાસેથી જાણવા મળ્યું હતું કે, ગાંધીજી ૭૯ સત્યાગ્રહીઓ સાથે દાંડી યાત્રા માટે નીકળ્યા હતા ત્યારે અંગ્રેજોએ તેમની ધરપકડ કરતા સરોજીની નાયડુને જવાબદારી સોંપાઈ હતી. તેઓ ધરાસણા આવ્યા ત્યારે અંગ્રેજોએ સત્યાગ્રહીઓ ઉપર અમાનુષી અત્યાર ગુજાર્યો હતો. લોખંડની મુઠવાળી લાકડી વડે માર મારી સત્યાગ્રહીઓ ઉપર ઘોડાઓ દોડાવવામાં આવ્યા હતા. આ અહિંસક આંદોલન વિશે અમેરિકાના પત્રકાર વેબ મિલરે રિપોર્ટિંગ કર્યુ હતું અને તેમનો અહેવાલ વિશ્વના ૧૩૫૦ અખબારોમાં પ્રસિધ્ધ થતા ધરાસણા સત્યાગ્રહની સમગ્ર દુનિયાએ નોંધ લીધી હતી.
વેબ મિલરે લખ્યું હતું કે, ૨૨ દેશમાં ૧૮ વર્ષના મારા રિપોર્ટિંગમાં મે ધરાસણા જેવા ભયાનક દ્રશ્યો જોયા ન હતા. એ હિંસા જોઈને હું સુન્ન થઈ ગયો હતો. સત્યાગ્રહીઓ પ્રતિકાર કર્યા વિના ચૂપચાપ માર ખાતા હતા. અંગ્રેજોની નિદર્યતાના એ દ્રશ્યો ખૂબ જ પીડાદાયક હતા. વેબ મિલરના ધરાસણા સત્યાગ્રહના એ રિપોર્ટિંગે વિશ્વને પહેલીવાર અહિંસક આંદોલનનો અહેસાસ કરાવ્યો હતો.
અંગ્રેજોના સમયમાં ધરાસણા ગામ મીઠા ઉત્પાદન માટે મહત્વનું કેન્દ્ર હોવાથી અહી થાણુ બનાવ્યું હતું. મીઠા સત્યાગ્રહ સમયે અંગ્રેજોએ સત્યાગ્રહીઓની ધરપકડ કરી જેલમાં પૂર્યા હતા. તે જેલ હાલમાં પણ ધરાસણા ગામમાં સોલ્ટ ઓફિસ તરીકે જાણીતી કચેરીમાં જોવા છે. જેની મુલાકાત લેતી વેળા આજે પણ આપણને સત્યાગ્રહીઓની વેદના અને પીડાની અનુભૂતિ થાય છે.
૧૯૭૮માં દેશના તત્કાલિન વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઈના હસ્તે ધરાસણા ગામમાં મીઠા સત્યાગ્રહની સ્મૃતિમાં સ્મારક બનાવવામાં આવ્યુ હતું. જેના જીર્ણોધ્ધારનું કામ હાલમાં ચાલી રહ્યુ છે. વલસાડના આંગણે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાય રહ્યો છે. ત્યારે ધરાસણા ગામમાં હરકોઈ ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે.
-૦૦૦-