વલસાડ તા. ૧૦ જુલાઇ
વલસાડથી ગુંદલાવ થઈ ખેરગામ તરફ જતા સ્ટેટ હાઈવે ૬૭ ઉપર ગોરવાડા ગામ પાસે આવેલા ક્રોસિંગ બ્રિજ નં. ૮૫૯ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટને કાઢવા માટે ગુંદલાવ- ખેરગામ રોડને થોડા સમય માટે રાત્રિ દરમિયાન બંધ કરવો જરૂરી જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા આગ્રેએ હુકમ જારી કર્યો છે.
જે મુજબ તા. ૧૧ થી ૧૫ જુલાઈ સુધી રાત્રિના ૨૩-૦૦ કલાકથી વહેલી સવારના ૪-૦૦ કલાક સુધી ગુંદલાવ – ખેરગામ રોડ બંને બાજુથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવનાર છે. જેથી ગુંદલાવથી ખેરગામ તથા ખેરગામથી ગુંદલાવ તરફ વાહનો આવન-જાવન કરી શકે એમ ન હોઈ આ વાહનોને ડાયવર્ઝન રૂટ તરીકે ગુંદલાવથી ખેરગામ તથા ખેરગામથી ગુંદલાવ જતા ફક્ત નાના વાહનો ગોરવાડા ત્રણ રસ્તા થઈ ગોરવાડા ગ્રામ પંચાયત થઈ પાલણ થઈ ખેરગામ રોડ તરફ અવર જવર કરી શકશે એવુ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ હુકમમાં જણાવ્યું છે.