વલસાડ તા. ૪ જુલાઈ
અનુ.જન જાતિના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ પ્લગ નર્સરી ઉભી કરી બાગાયતી પાકોના રોગમુકત પ્લાન્ટીંગ મટીરીયલ (ધરૂ/કલમ/રોપા) ઉત્પાદન કરવાનો નવીન વ્યવસાય તેમજ આવક્નો સ્ત્રોત ઉભો કરી શકે તેમજ ફળપાકો જેવા કે આંબા,ચીકું, દાડમ, જામફળ, આંબળા, મોસંબી, બોર, નાળિયેરી અને ગૌણ ફળપાકો જેવા કે ખાટી આંબલી, સીતાફળ, કરમદા, જાબું, રાયણ, કોઠા, ફાલસા, શેતુર, બીલા અને અન્ય ફળપાકોના રોગમુકત અને તંદુરસ્ત પ્લાન્ટીંગ મટીરીયલનું વાવેતર કરી સારૂ ઉત્પાદન મેળવે એ માટે બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં “વનબંધુ કલ્યાણ યોજના-૨” હેઠળ (૧) ફળપાક પ્લાંન્ટીગ મટીરીયલ અને (૨) પ્લગ નર્સરી ઘટકની સહાય યોજના શરૂ કરવામાં આવી છે.
“વનબંધુ કલ્યાણ યોજના-૨”ના ધારાધોરણો મુજબ (૧) ફળપાક પ્લાંન્ટીગ મટીરીયલ ઘટક્માં ઉપર જણાવેલા ફળપાકો પ્રમાણે અલગ અલગ પાકવાર યુનિટ કોસ્ટ નકકી કરવામાં આવી છે. બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં પાકવાર નક્કી કરેલી યુનિટ કોસ્ટની સામે ૯૦% સહાય આપવાનું ઠરાવીત કરાયું છે. મહત્તમ ૪.૦ હેકટરની મર્યાદામાં સહાય મળશે. કલમો માટે NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિવર્સિટી/બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટિંગ મટીરીયલ ખરીદી કરવાનું રહેશે (૨) પ્લગ નર્સરી ઘટકમાં યુનિટ કોસ્ટ રૂ.૩,૦૦,૦૦૦/એકમ, ૫૦૦ ચો.મી.વિસ્તાર માટે નક્કી કરવામાં આવી છે. ખર્ચના ૯૦% કે રૂપિયા ૨.૭૦ લાખની સહાય બેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય મળવાપાત્ર થશે. નર્સરી ઓછામાં ઓછી ૨૦૦ ચો.મી તથા વધુમાં વધુ ૫૦૦ ચો.મી. વિસ્તારમાં બનાવવાની રહેશે. નેટહાઉસ એમ્પેનલ થયેલી કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે.
આ યોજનાની વિગતો વિશે વધુ જાણકારી મેળવવા માટે અને આ યોજનાની સહાયનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલી અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનિક કાગળોની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી.વલસાડ બેંક શાખાની સામે, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦ ટેલીફોન નંબર-૦૨૬૩૨૨૪૩૧૮૩ ખાતે જમા કરાવવાની રહેશે એમ વલસાડ નાયબ બાગાયત નિયામક કચેરીની અખબાર યાદીમાં જણાવાયું છે.