રાજ્યમાં કોરોના બેકાબુ ગતિએ આગળ વધતા ફ્રન્ટ લાઈન વોરિયર્સ એવા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં સંક્રમણ નો ભોગ બની ચૂક્યા છે.ત્યારે રાજ્યના પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગે હવે પોલીસ વિભાગમાં તબીબી સ્નાતક ની ડીગ્રી ધરાવતા અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ ને પણ હવે પોલીસ અને એસઆરપી વિભાગમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો માટે જરૂરી માર્ગદર્શન અને કાઉન્સિલિંગ અને મદદરૂપ થવા માટે મેડિકલ નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
વલસાડ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને પણ વલસાડ જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.નોંધનીય છેકે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા પોલીસ અધિકારી હોવા સાથે સાથે તેઓ તબીબી સ્નાતકની ડિગ્રી પણ ધરાવે છે. આથી સરકારે તેમને વલસાડ જિલ્લા ઉપરાંત સુરત ગ્રામ્ય અને ભરૂચ જિલ્લામાં પણ એસઆરપી અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને કોરોના ને લગતું જરૂરી માર્ગદર્શન અને કોઈપણ મૂંઝવણ હોય તો મદદ રૂપ થવા માટે મેડિકલ નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી છે.
આમ પોતાને નવી જવાબદારી સોંપાતા જ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા વલસાડ જિલ્લા અને તેમને સોંપવામાં આવેલા અન્ય જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને એસઆરપી જવાનો કે તેમના પરિવારોને જેઓને મદદની જરૂર છે તેવા પરિવારનો સંપર્ક કરી અને તેમને જરૂરી માર્ગદર્શન માટે કાઉન્સેલિંગ કરી રહ્યા છે. આજે પ્રથમ દિવસે વલસાડ જિલ્લા પોલીસ ના એક મહિલા પોલીસકર્મી અત્યારે વલસાડ ની આયુર્વેદિક કોલેજ માં સારવાર લઈ રહ્યા છે. તેમની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આમ કોરોના ની મહામારી માં પોલીસવડા ડબલ ફરજ બજાવી રહ્યા છે.