વલસાડ જિલ્લા પંચાયત અને ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી પારડી કુમાર શાળા ખાતે તા.૬ જુલાઈના રોજ જરૂરિયાતમંદ અલગ અલગ અભ્યાસ કરતા છોકરાઓ છોકરીઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરુવાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જિલ્લાના ૬ તાલુકાની શાળામાં ધો. ૬, ૭ અને ૮માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય અથવા તો કોરોના કાળમાં તેઓના માતા અથવા પિતાનું મૃત્યુ થયુ હોય એવા ૮૫ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું કે, વહીવટી તંત્ર સાથે મળીને સમાજ સેવા કરવામાં ત્રયમ ફાઉન્ડેશન અને અન્ય સેવાકીય સંસ્થાઓ (એનજીઓ)નો મોટો ફાળો હોય છે, જેઓ સમાજમાં જરૂરિયાતમંદ લોકોને શોધી તેઓ સુધી પહોંચીને મદદ પહોંચાડી શકે એ માટે સતત કાર્યરત રહી યોગદાન આપવા હંમેશા તત્પર રહે છે. જરૂરીયાત વાળા લાભાર્થીઓએ પણ એ ધ્યાન રાખવું જોઈએ કે, જે ઉદેશ્યથી સંસ્થા દ્વારા સહાય અથવા સાયકલ મળી હોય તો તેનો ઉપયોગ લાભાર્થીએ પોતાની જરૂરિયાત માટે થાય તેનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ અને યોગદાન આપનાર સંસ્થાનો ઉદ્દેશ સફળ થવો જોઈએ.
ત્રયમ ફાઉન્ડેશનના ફાઉન્ડર સી.ઈ.ઓ. ડૉ. ભૈરવી જોષીએ જણાવ્યું કે, આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ્ય બાળકોને તેમની રોજીંદી પ્રવૃત્તિઓ જેવી કે, અભ્યાસ અને રોજબરોજની અવર જવરમાં પડતી મુશ્કેલી અને ખર્ચ ઓછા કરી આત્મનિર્ભર બનાવવાનો છે. આ સાયકલનું યોગદાન કરાવવામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ માર્ગદર્શન અને સહકાર આપ્યો હતો. હાલના તબક્કે સાયકલિંગએ ફક્ત ટ્રાન્સપોર્ટેશન (અવર-જવર) માટેનું સાધન જ નથી પરંતુ તે સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવાનો એક પ્રયાસ છે. સાયકલના ઉપયોગથી આપણે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી કાર્બન એમિશનને ઓછું કરી શકીએ છે અને સાથે સાથે વાતાવરણને હરિયાળું અને પ્રદૂષણ રહિત બને તે માટે ફાળો આપી શકીએ છે.
બાળકોએ ઉત્સાહ અને ઉમંગથી નવી સાયકલ સાથે ફોટા પડાવી આનંદિત થઈ સાયકલ પર ઘરે રવાના થયા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારી બી.ડી. બારીયા અને પારડી સ્કૂલના શિક્ષક ગણ, સામાજિક કાર્યકર્તા હાજર હતા.
Sunday, May 5
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને પારડી કુમાર શાળામાં ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો.
By Hemangi Gor- SatyaDay DeskUpdated: