વલસાડ નગરપાલિકાના બહુ ચર્ચિત ભંગાર કૌભાંડમાં આરોપી ડ્રેનેજ ઇજનેર અને પ્રોપ્રાયટરની જામીન અરજીની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠી ની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.કે.દવેએ અરજી ફગાવી દેતો હુકમ કર્યો છે.
વિગતો મુજબ વલસાડ ના પારડી સાંઢપોર ખાતે આવેલા જર્જરિત એસટીપી ડ્રેનેજ પ્લાન્ટના ભંગારના નિકાલ માટે વાપીની એજન્સીનું ટેન્ડર મંજૂર થયા બાદ રૂ.2.01 લાખનો ભંગાર લઇ જવામાં આવ્યો હતો,પરંતું 8 માસ સુધી પાલિકામાં રકમ જમા કરાવવામાં ન આવતા આ પ્રકરણમાં ગેરરીતિ થઇ હોવા મુદ્દે હોબાળો થતા
સીઓએ ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડને સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારબાદ આ ભંગારમાં ચાલુ રહેલા હોબાળા વચ્ચે ફરિયાદ કરવાની માંગ ઉઠતા સિટી ઇજનેર હિતેશ પટેલે ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડ,આમીર ટ્રેડર્સના પ્રોપ્રાટયર,એજન્સીનો માણસ રઘારામ અને વોર્ડ નં.7ની મહિલા સભ્યનો પતિ સાજીદ ઉર્ફ શેરૂ વિરૂધ્ધ સિટી પોલીસ મથકે 18 માર્ચે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે ઇજનેર અને પ્રોપ્રાયટર મો.હારૂન યુસુફ શેખની ધરપકડ કરી રીમાન્ડ બાદ જ્યુ.કસ્ટડીમાં મૂકાયા હતા.આ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.કે.દવેએ બંન્નેની જામીન અરજી ફગાવી દીધી હતી.