આજકાલ દેખાદેખીમાં તરુણીઓ ઘરેથી ભાગી જવાના કે અવળા રસ્તે ચડી જવાના બનાવો વધ્યા છે ત્યારે એક જાગૃત નાગરિકની સજાગતાને કારણે વલસાડ નવસારી રેલવે સ્ટેશન વચ્ચે 4 તરૂણીઓને ફોસલાવીને ટ્રેનમાં લઈ જતા વિધર્મી યુવકની કરતૂતનો ભાંડા ફોડ થયો હતો અને ટયુશન ક્લાસમાં જઈ રહેલી આ તરુણીઓ વાપી પંથકની સોસાયટીમાં જ રહેતાં એક 18 વર્ષીય વિધર્મી યુવકની વાતો માં આવી ટ્રેનમાં બેસી ગઈ હોવાનું સામે આવ્યું છે.
એક જાગૃત રેલવે મુસાફરને શંકા જતાં તેણે પોલીસને જાણ કરતા પોલીસે આ ઇસમને ઝડપી લીધો હતો.
વિગતો મુજબ વાપી ડુંગરા પંથકની એક સોસાયટીમાં રહેતી 10 થી 14 વર્ષની 4 જેટલી હિન્દીભાષી તરૂણીઓ સવારે ટ્યુશને જઇ રહી હતી તે વખતે સોસાયટીમાં રહેતા એક વિધર્મી સગીર યુવકે આ તરુણીઓને બાગમાં ફરવા અને પિકચર જોવા માટે પોતાની સાથે આવવા જણાવતા તરૂણીઓ પોતાના ઘરે જાણ કર્યા વગર જ આ યુવાન સાથે ફરવા જવાની લાલચે તૈયાર થઇ ગઇ હતી.બાદમાં સગીર યુવકે તેમને વાપી રેલવે સ્ટેશને લઇ જઇ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં બેસાડી સુરત તરફ જવા નિકળ્યા હતા.
આ ટ્રેન વલસાડ થઇ નવસારી તરફ જઇ રહી હતી તે વખતે ટ્રેનમાં આ તરૂણીઓ અને યુવક વચ્ચે થઈ રહેલી વાતો સાંભળી રહેલા એક મુસાફરને શંકા ગઇ હતી.જેને લઇ તેણે નવસારી પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે તાત્કાલિક ટ્રેનમાં ફરજ ઉપર હાજર પોલીસકર્મીઓને ઇન્ફોર્મ કરતા પોલીસે તરતજ તે ડબ્બામાં જઇ તરૂણીઓનો કબજો મેળવી યુવકને ઝડપી લીધો હતો.
બાદમાં તરૂણીઓને વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સોંપી દેતા માતાપિતાને તેડાવી તરૂણીઓને સોંપી દેવામાં આવી હતી.
આમ,ઘરે કોઈને જાણ કર્યા વગર આ રીતે નીકળી જતી તરુણીઓ બાદમાં ક્રાઈમનો ભોગ બને છે જે માટે ઘરે પોતાના સંતાનોમાં જાગૃતિ કેળવાય તે રીતે માર્ગદર્શન આપવુ જરૂરી છે.