Dharampur: ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે પ્રખર રામચરિત માનસ ઉપાસક પૂજ્ય મોરારીબાપુ દ્વારા આદિતિર્થવાસી વિસ્તાર ધરમપુર તાલુકાના ખાંડા ગામ ખાતે રામકથાનું ગાન થયું હતું જેણે ચૈત્રી નવરાત્રી -રામ નવમીના દિવસે વિરામ લીધો હતો.પૂ.બાપુએ કહ્યું કે, તમને વિનય કરું કે તમે જે બીજું કંઈ પીતા હોવ, શરાબ વિ.ધીરે-ધીરે ઓછું કરજો.
આજે સંકલ્પ કરો કે કાલથી જ એવું પીણું લેવું નથી તો, તો ઉત્તમ! એ જ રીતે બીજી ન ખાવાની ચીજ – માંસ મટન આદિ પણ ઓછું કરજો. અંધશ્રદ્ધાને લીધે નાના-મોટા ગમેતેવા(શાસ્ત્ર વિરુદ્ધ) યજ્ઞ કરતા હો, જેમાં ઘેટાં-બકરાં મરઘાં- પશુઓનો બલિદાન અપાતાં હો તો એ બંધ કરજો. આ અવસર માનસ સંવત્સરને સાર્થક કરવા આટલું કરજો. રામની પાસે સત્ય, સીતાની પાસે સહનશીલતા, લક્ષ્મણ પાસે જાગરણ, શત્રુઘ્નની પાસે મૌન, ભરતની પાસે પ્રેમ અને હનુમાનજી પાસે સેવા છે.પણ એવો કોઈ સદ્ગુરુ એવો કોઈ બુદ્ધપુરુષ શોધીએ જેની પાસે આ બધું જ હોય છે.
રાષ્ટ્રગીત કેવું હોય એ મંત્રની બાપુએ સમજ આપી હતી.
આદિતીર્થવાસી ભૂમિ ખાંડામા ચાલી રહેલી રામકથાનો આઠમો દિવસ, હવનઅષ્ટમી, આઠમું નોરતું ત્યારે બાપુએ જણાવ્યું કે મેં એક દિવસ આપને ૬૦ સંવત્સર વિશે વાત કરેલી. આપણે એ બધાથી પરિચિત નથી કારણ કે બીજાં સંવત્સરો ખૂબ દૂર છે. કોઈ લાખો વરસો, કોઈ હજારો, પણ સૌથી નજીકનું સંવત્સર આપણું માનસ સંવત્સર જે સર્વપ્રિય, સર્વપ્રાપ્ય સરલ- તરલ છે, કારણ કે બધા એને સમજી શકે છે અને ૧૬૩૧ની રામનવમીએ એનો આરંભ થયો. એ રામનવમીને ૨૪ કલાક બાકી છે. ચાર પાંચ દિવસથી રામ જન્મ વિશે બાપુ કહેતા કહેતા આઠમા દિવસે રામનો કથામાં જન્મ થયો જેની સમગ્ર શ્રોતાગણ -પારેવાને ખુબ ખુબ વધાઈ આપવામાં આવી, આવતીકાલે સમગ્ર વિશ્વમાં પ્રભુ શ્રીરામના પ્રાગટ્ય ની ઉજવણી થશે.
બાપુએ કહ્યું કે, ઘર-ઘર, ઝૂંપડે-ઝૂંપડે, પ્રાંત-પ્રાંત, ઘટ- ઘટ અને સમગ્ર વિશ્વમાં રામ આવવો જોઈએ રામ તો મૂળ છે.
નવમા દિવસની કથા ના પ્રારંભે ઉદ્ભોષક કરણે સુંદર વાત કરી. પૂજ્ય બાપુએ આજે ૭૦ મિનિટ કથા વહેલી પ્રારંભ કરી હતી અને બારના ટકોરે સમગ્ર વિશ્વમાં પ્રભુ શ્રીરામના જન્મની ઉજવણી શરૂ થઈ તેની દુરદર્શનના માધ્યમથી કથા પંડાલમાં પણ અયોધ્યા ધામ થી જીવંત પ્રસારણ કરી ભગવાન સૂર્યનારાયણ દેવ દ્વારા પ્રભુ શ્રી રામલલ્લાને કપાળે જે સૂર્ય તિલક,(૧૦૮ સેકંડ )થયું તેનુ સૌએ અને બાપુએ પણ દર્શન કરી ધન્યતા અનુભવી. બાદમાં કાગભુષંડી રામાયણ પછી આરતી શરૂ થઈ ત્યારે બાપુની અપીલના કારણે તમામ શ્રોતાઓએ પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી રામ જન્મની વધામણી કરી હતી. જે દ્રશ્ય અદભુત લાગતું હતું.
અંતમાં સૌને જય સીયારામ વધાઈ આપી પૂજ્ય બાપુએ પોથી ઊંચકીને મનોરથી પરિવારના મહેશભાઈના મસ્તકે મૂકી વિદાય લીધી હતી. પૂજ્ય બાપુએ કુટીરે જઈને હોમ યજ્ઞ સંપન્ન કરી સીધા માલનપાડાથી હેલિકોપ્ટરમાં પ્રયાણ કર્યું હતું. આદિતીર્થવાસીઓ એ ભારે હૈયે પૂજ્ય બાપુને વિદાય આપી હતી. કથા શરૂ થતા પહેલા નજીકની રામટેકરી ખાતે ખાંડાગામ વાસીઓ અને મનોરથી પરિવારના સહકારથી સાકાર થયેલા સુંદર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય બાપુએ હાજરી આપી રામ પરિવારને તિલક કરી દર્શન પ્રાર્થના અને આરતી કરી હતી આમ માનસ સંવત સરના સમાપન સાથે ખાંડા ગામની પ્રજાને અલૌકિક પ્રભુ શ્રીરામનું સુંદર મંદિર દેવસ્થાન પ્રાપ્ત થયું હતું.
જ્યાંથી પોથીશોભા યાત્રા નીકળી હતી, તે પ્રભુ હનુમાનદાદા ના મંદિરે પણ બાપુએ દર્શન કર્યા હતા આ મંદિર 1995 ની આસપાસ ગામ લોકોએ બનાવ્યું હતું જે બાદ સૌની ઈચ્છા હતી કે પૂજ્ય બાપુ અહીં કથા કરવા પધારે ! આવા મનોરથી બાબુભાઈ ગામીત ની 29 વર્ષે પ્રાર્થના ફળતા પૂજ્ય બાપુના મનોરથી પરિવાર નો ઉતારો બાબુભાઈની ઘરે થતાં અને આ કથા આયોજિત થતાં તેઓએ ખૂબ જ આભારની લાગણી પૂજ્ય બાપુ તથા મનોરથી પરિવાર આયોજક તરફ વ્યક્ત કરી હતી. સી.આર.સી શિક્ષક રામભાઈ પઢેર સરપંચ જેસિંગભાઈ વિગેરે એ પણ આયોજકો મનોરથી પરિવાર રામકથાના માધ્યમથી ખાંડા ગામને પ્રાપ્ત થયેલી શૌચાલય સહિતની અનેક સુવિધાઓ માટે પદ્મશ્રી નિરંજનાબેન, પ્રજ્ઞાબેન કલાર્થી મુકુલ ટ્રસ્ટ, ફાફડાવાલા વિગેરેનો ઋણ સ્વીકાર કર્યો હતો.