વલસાડ જિલ્લાના પાંચમાં દર્દીએ કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી રજા લઇ બહાર નીકળતા હોસ્પિટલની ટીમે ફુલોની વર્ષા કરી શુભેચ્છાઓ પાઠવી હતી. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠાના તસેલ અહમદ સમસુલ્લા ચૌધરીના સેમ્પલ નેગેટીવ આવતાં આજે કોવિડ હોસ્પિટલ, સિવિલ, વલસાડ ખાતેથી રજા આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧પ કોરોના પોઝિટિવ પૈકી પાંચ વ્યક્તિઓને રજા આપવામાં આવી છે, જ્યારે એકનું મોત થવા પામ્યું છે.
હાલ જિલ્લામાં કોવિડ-૧૯ના ૯ પોઝીટીવ કેસો એક્ટીવ છે. બલીઠા શખ્સે પણ કોરોના સામેની જંગ જીતી લઇ નેગેટિવ રિપોર્ટ આવતા આજે રવિવારે તેના ઘરે પરત થયો હતો. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ આ ચોથા વ્યકિતને રજા આપવામાં આવી છે. આ પહેલા એક શખ્સને વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર બાદ રિપોર્ટ નેગટિવ આવતા રજા આપવામાં આવી હતી. આમ આખા જિલ્લામાં હમણાં સુધીમાં પાંચ શખ્સોએ કોરોનાને માત આપી છે. સિવિલ હોસ્પિટલમાંથી રવિવારે બલીઠાના શખ્સને રજા આપવામાં આવી ત્યારે હોસ્પિટલના સ્ટાફના ચહેરા પર પણ જીતનું સ્મિત જોઇ શકાતું હતું.
વલસાડ જિલ્લામાં તા.૨૩મી સુધીમાં લેવાયેલા ૩૨૬પ સેમ્પલ પૈકી ૩૨૪૬ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ અને ૧૯ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. પરંતુ ચાર વ્યક્તિઓ છ મહિના કરતાં વધુ સમયથી મુંબઇમાં રહેતા હોય તેની અન્ય રાજ્યમાં ગણતરી કરવામાં આવી છે.