આઠમી ડિસેમ્બરે કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરવામાં આવ્યા બાદ જેની ફરતે પોલીસ તપાસનો ગાળીયો ફિટ કરાયો છે તે વાપીની મનિષા ગોસ્વામીની ભાળ પોલીસને હજુ સુધી મળી શકી નથી. મનિષા ગોસ્વામી 31મી ડિસેમ્બરથી લાપતા છે અને પોલીસ પણ તેનું લોકેશન ટ્રેસ કરી શકી નથી.
મનિષાના પતિ ગજુ ગોસ્વામીએ અંગ્રેજી ન્યૂઝ પેપરને 12મી તારીખે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 31મી ડિસેમ્બરથી મનિષા પોતાનું વાપી ખાતેનું ઘર છોડી કચ્છમાં આવેલા પોતાના ડેરી ફાર્મ પર ગઈ હતી. ત્યાર બાદથી તેનો કોઈ પત્તો મળ્યો નથી. જ્યારે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યાર પહેલાં પણ મનિષાનો ફોન ચાલુ હતો પરંતુ ત્યાર બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.
સનસનાટીપૂર્ણ મર્ડર કેસમાં મનિષાને હત્યાના કાવત્રાખોર તરીકે આરોપી બનાવવામાં આવી છે. મનિષાએ જાહેર જીવનમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે શરૂઆત કરી હતી. વાપીમાં પર્યાવરણના પ્રશ્નોને લઈ આરટીઆઈ કરતી હતી અને ત્યાર બાદ તે રાજકારણીઓના સંપર્કમાં આવી હતી.
સૂત્રો મૂજબ મનિષા પાસે ભાજપના અનેક કદાવર નેતાઓની સીડી હોવાની આશંકા છે. મનિષા લાપતા બની તો તેની પાસે ભાજપના નેતાઓની સીડીનો ઢગલો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. અમદાવાગના એક્વા મોલની મીટીંગને હત્યા કેસમાં ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. આ એક્વા મોલમાં બેસીને જયંતિ ભાનુશાળી સાથે મનિષાની મીટીંગ બાદ મોટાપાયા પર તણખા ઝર્યા હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે.
પતિ ગજુ ગોસ્વામીએ અંગ્રેજી ન્યૂઝ પેપરના સંવાદદાતાને વધુમાં કહ્યું હતું કે 31મી ડિસેમ્બરે મનિષા કાર મારફત કચ્છ ગઈ હતી. હવે ગઈકાલે સીઆઈડીએ પત્રકાર પરિષદમાં મનિષા અને છબીલ પટેલ, સુરજીત ભાઉ સહિતના ગેંગસ્ટરોએ હત્યા કરાવી હોવાનું કહ્યું હતું પરંતુ મનિષા ક્યાં છે અને તેને અત્યાર સુધી પકડી પાડવામાં આવી નથી તે અંગે કશો પણ ફોડ પાડ્યો નથી. મનિષા શું હવામાં ઓગળી ગઈ? આધુનિક ટેક્નોલોજી સાથે સજ્જ પોલીસ વિભાગ મનિષાને ટ્રેસ આઉટ ન કરી શકે તે વાતમાં દમ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તો પ્રશ્ન એ થાય છે કે મનિષાનું શું થયું? મનિષા ક્યાં છે અને એ કેવી રીતે લાપતા થઈ ગઈ છે? શા માટે મનિષા પોલીસ પકડથી દુરને દુર છે? મનિષા જીવિત છે કે કેમ તેવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે. મનિષા પાસે ભાજપના નેતાઓની સીડીને લઈ કશુંક અજુગતું તો બની ગયું નથીને? મનિષા હેમખેમ હોવા વિશે પણ પોલીસ કશું બોલી રહી નથી. છબીલ પટેલ મસ્કત ભાગી ગયો હોવાનું જણાવતી પોલીસ મનિષા અંગે મગનું નામ મરી પાડી રહી નથી ત્યારે મનિષાનું લાપતા થવું એ પણ એક રહસ્ય જન્માવનારી બીના રહી છે. મનિષા અંગે પોલીસની ચૂપકીદી અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે.