ખેરગામના વેણફળિયા ખાતે શ્રી નરનારાયણ દેવ એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમ ની સ્વામિનારાયણ સંસ્કારધામ સ્કૂલ વિરુદ્ધ વાલીઓએ કરેલ ફરિયાદ બાદ સફાળા જાગેલા નવસારી શિક્ષણ વિભાગની કાયદાકીય ચકાસણીમાં -સ્કૂલ ગેરકાયદે જણાઈ આવતા- સચિવશ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે ગત ૧૪/૨ ના રોજ સ્કૂલની માન્યતા રદ કરવા -કારણ દર્શક નોટિસ- ફટકારી ટ્રસ્ટીઓ પાસે નોટિસ મળ્યાના સાત દિવસમાં સ્કૂલની માન્યતા કેમ રદ ન કરવા બાબતે લેખિતમાં ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે.
લાંબા સમયથી ગેરકાયદે વહીવટના વિવાદ માં ફસાયેલ સ્વામિનારાયણ સંસ્કારધામ સ્કૂલ ને બંધ કરવાની સંભાવના સેવાઇ રહી છે.સ્કૂલ ના આચાર્ય અને શિક્ષકોની મહેનતથી ટુક સમયમાં જ આ સ્કૂલે સારી એવી ચાહના મેળવી હતી.પરંતુ સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ થતા કહેવાતા ટ્રસ્ટીઓ એ આચાર્યને સ્કૂલમાંથી કાયદા વિરુદ્ધ કાઢી મુકવાની યુક્તિ અજમાવી હતી.જે બાબતે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત એકત્ર થયેલ તમામ વાલીઓએ ભારે વિરોધ કર્યો હતો.ટ્રસ્ટીઓ એક ના બે ન થતા મામલો પોલીસ મથક અને નવસારી શિક્ષણ વિભાગ સુધી ગયો હતો.
વાલીઓએ આપેલ ફરિયાદ બાદ શિક્ષણ વિભાગ સક્રિય બની તળિયા ઝટાક તપાસ શરુ કરતા સ્કૂલ ગેરકાયદે હોવાની બાબતો સામે આવી હતી. છોટુભાઈ નરસિંહ ભાઈ પટેલની ૭૩એએ ની સર્વે નં.૧૧૫૫ માં ખેતીની જમીનમાં ગેરકાયદે બાંધકામ બાબતે, જમીન ૭૩એએ હોવા છતાં સંબંધિત સક્ષમ સત્તાધિકારીની પરવાનગી લેવાઈ નથી , શાળા ના આચાર્ય અને કેટલાક શિક્ષકોને વેતન ચૂકવવામાં આવ્યું ન હોવાનું તેમજ નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી એ છેલ્લા ત્રણ વર્ષ નો સીએ ઓડિટ રિપોર્ટ માંગ્યો હતો જે રિપોર્ટ ટ્રસ્ટ દ્વારા રજૂ ન થતા સ્કૂલમાં નાણાકીય ગેરરિતીઓ પણ થતી હોવાની બાબત સામે આવતા શ્રીસ્વામિનારાયણ સંસ્કારધામ અંગ્રેજી મધ્યમસ્કૂલ તાલુકો ખેરગામ જિલ્લો નવસારીની જૂન-૧૬ ની નવી માધ્યમિક શાળા ની માન્યતા રદ કરવા કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે જેની મુદત પણ પૂરી થઈ છે.વિલંબનીતિ અપનાવતા શિક્ષણ વિભાગ હવે કેવાં પગલાં ભરે છે તેની વાલીઓમા ઉત્તેજના છે.