વલસાડ :- એક તરફ ધોરણ ૧૦ની પરિક્ષાનું પરિણામ જાહેર થયુ઼ છે તે સાથે જ શાળા સંચાલકોએ વધુ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને જ એડમિશન આપવાની જોહુકમી કરી શાળાના જ ધોરણ ૧૦ પાસ થયેલા અને ૬૦ ટકાથી નિચે માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ માટે પ્રવેશ ના આપતા શાળામાં વાલીઓએ હોબાળો મચાવી શાળા સંચાલકોની મનમાનીનો વિરોધ કર્યો હતો.
વલસાડની સેન્ટ જોસેફ ઈટી હાઈસ્કૂલમાં. પોતાની જ શાળાના સ્ટુડન્ટને ધોરણ 10માં ઓછા ટકા આવતાં ધોરણ 11માં પ્રવેશ આપવાથી ઈન્કાર કરવામાં આવ્યો હતો. જેથી વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ધોરણ 10ના પરિણામની સાથે જ ધોરણ 11માં એડમિશનને લઈને વાલીઓમાં ભારે ઉતેજના જોવા મળી રહી છે. ત્યારે વલસાડની સેન્ટ જોસેફ ઈટી હાઈસ્કૂલમાં ધોરણ 10માં 60થી ઓછા પીઆર આવનારા સ્ટુડન્ટને એડમિશન ન આપવાનુ શાળા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેથી ઓછા પરિણામ વાળા સ્ટુડન્ટને ક્યાં જવું તે મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
આખરે એક બે કલાક ચાલેલા હોબાળા બાદ અને મીડીયામાં સમાચારો વહેતા થતા શિક્ષણ વિભાગે પણ આ અંગે જાગૃતતા દેખાડતા શાળા સંચાલકોએ એડમિશન ફોર્મ આપી મામલો થાળે પાડવાની કોશીશ કરી હતી. ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૦ના પરિણામમાં આ શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. ત્યારે તેમ છતા પોતાની જ શાળાના વિદ્યાર્થીઓને ધોરણ ૧૧માં પ્રવેશ નહી આપવાનો જોહુકમી ભર્યો ફતવો શાળાએ બહાર પાડ્યો હતો.