કોઇપણ વ્યકિત, પ્રકાશકનું નામ, મુદ્રકનું નામ તેમજ સરનામું લખેલ ન હોય તો મુદ્રણાલયનું લાયસન્સ પણ રદ થઇ શકે
Valsad: ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર થતા ચૂંટણી અંગેની આચારસંહિતા અમલમાં છે. લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૧ ની કલમ ૧૨૭-કની જોગવાઈ મુજબ કોઇપણ વ્યકિત, પ્રકાશકનું નામ, મુદ્રકનું નામ તેમજ સરનામું લખેલ ન હોય, તેવા કોઈપણ ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અને તેમ કરવામાં આવે તો લોક પ્રતિનિધિત્વ ધારાના ભંગ બદલ શિક્ષાને પાત્ર થાય છે. તેમજ મુદ્રણાલયનું લાયસન્સ પણ રદ થઇ શકે છે. જેથી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓક (આઈ.એ.એસ.)એ ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી મળેલી સત્તાની રૂએ વિવિધ પ્રતિબંધ સમગ્ર વલસાડ જિલ્લાના વિસ્તારમાં ફરમાવ્યા છે.
જે મુજબ, ૧) કોઇપણ વ્યક્તિ કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં. ૨) કોઈપણ વ્યકિત કે સંસ્થા સદરહું ચૂંટણીને લગતા કોઈપણ ચોપાનીયા, ભીંતપત્રો પ્રિન્ટ કરતા પહેલા પ્રકાશક પાસેથી તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય, તેવી બે વ્યક્તિઓની સાક્ષી સહી કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ મેળવી ત્યારબાદ જ આવા ચુંટણી સાહિત્ય છાપવાના રહેશે અને પ્રિન્ટીંગ કરેલા સાહિત્ય ઉપર મુદ્રક તથા પ્રકાશકના પુરેપુરા નામ, સરનામા, ફોન તથા મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે તેમજ પ્રિન્ટ કરવામાં આવેલી નકલોની સંખ્યા દર્શાવવાની રહેશે. હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રકનો અર્થ તે પ્રમાણે થશે. ૩) મુદ્રકએ પ્રિન્ટ કરવામાં આવેલી તમામ સાહિત્યની ચાર નકલો તથા પ્રકાશક પાસેથી મેળવેલા એકરારનામાં “એપેન્ડીક્ષ-એ” અને “એપેન્ડીક્ષ-બી” ની એક-એક નકલ છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર ગણાશે અને જાહેરનામાનો ભંગ થયેથી વલસાડ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમ જાહેરનામાની તારીખથી તા. ૧૪/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.