Valsad: ભારતના પશ્ચિમ કિનારાના ગુજરાત રાજ્યમાં દક્ષિણે આવેલા વલસાડ જિલ્લાની પૂર્વમાં છે સહ્યાદ્રીની ઘેઘૂર પર્વતમાળા અને પશ્ચિમે છે ઘૂઘવતો અરબી સમુદ્ર. આ જિલ્લાની ફળદ્રુપ જમીન પર વિવિધ આંબા, વડ, સાગ અને ખેરનાં અગણિત વૃક્ષોની તથા વિવિધ ફૂલોના છોડોની લીલીછમ ચાદર પથરાયેલી છે. વલસાડની દક્ષિણે બારે માસ વહેતી પાર નામની નદીના કિનારે અનેક સુંદર ગામ વસેલાં છે. ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંના એક એવા પરશુરામની કર્મભૂમિ એવો આ વિસ્તાર પ્રકૃતિના અનુપમ સૌન્દર્યથી સદાય ઉભારાયેલો રહે છે. આવા હેયું ઠારતા કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણ વાળા નાનકડા રાબડા ગામમાં અદભુત, અલૌકિક અને અકલ્પનીય એવું માં વિશ્વંભરી તિર્થયાત્રા ધામ માત્ર ૯૦ દિવસમાં જ ધામના સ્થાપક શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલું છે.
માઁના સાક્ષાત્કાર કરનાર શ્રી મહાપાત્ર પાસેથી અહિયાં દરેકને માઁની વૈદિક વિચારધારા, દિવ્યસંદેશ, સાચી ભક્તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ, સુખી જીવન જીવવાની રીત શીખવા મળતી હોવાથી આ ધામમાં મુખ્ય સ્થાનને મંદિર નહિ, પાઠશાળા કહે છે.
આ પાઠશાળાની સમગ્ર રચના કલ્પનાશીલ અને ઉચ્ચ દ્રષ્ટિસભર તો છે જ, સાથે તન-મનને સાત્ત્વિક આનંદથી ભરી દે એવી અલૌકિક પણ છે. પરંપરાગત મંદિરથી ઘણી અલગ અને આધુનિક હોવા છતાં આ પાઠશાળા મનમોહક છે. એક વાક્યમાં કહેવું હોય તો એમાં પ્રાચીન જ્ઞાન, આધુનિક વિજ્ઞાન અને સનાતન વૈદિક ધર્મનો હાર્દ એમ ત્રિવેણી સંગમ જોવા મળે છે.
માં વિશ્વંભરી ધામ જે જગતજનનીનું સમગ્ર વિશ્વમાં એક માત્ર મંદિર છે. જ્યાં દર વર્ષે ચૈત્રી નવરાત્રિ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવે છે.
આ વર્ષના ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરરોજ સવારે ૭.૦૦ થી ૧૨.૦૦ સુધી શ્રીયાગ મહાયજ્ઞ તેમજ રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ સુધી મહાઆરતી તથા પ્રાચીન રાસ ગરબાના સાંસ્કૃતિક કાર્યક્રમના પાવન અવસરમાં આવતાં માઈભક્તો કાર્યક્રમો નિહાળીને તેમજ માં વિશ્વંભરીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સમગ્ર ગુજરાતની સાથે સાથે દેશ વિદેશથી મોટી સંખ્યામાં માઇભક્તો મહાશક્તિ માં વિશ્વંભરીની આરાધના કરવા આ ધામમાં ઊમટી રહ્યા છે.
આ ધામમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી માઁની અલૌકિક પાઠશાળા (મંદિર), હિમાલય, ગોવર્ધન પર્વત (ગોકુલધામ), નંદબાબાની કુટીર, ગીર ગાયોની ગૌશાળા (વૈકુંઠધામ) શ્રીરામ કુટિર (પંચવટી) તથા નયનરમ્ય પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે બાગમાં સિંહ, ગજરાજ, જિરાફ, હરણ, વાનર સહિતનાં પ્રાણીઓ તથા પંખીઓની આબેહૂબ જીવંત પ્રતિમાઓ આપણા દિલ મોહી લે છે. વિશાળ ઘટાદાર વૃક્ષો, છોડવા, વિવિધ ધામોનું સ્થાપત્ય-સૌંદર્ય, એ સૌની પુષ્કળ અવકાશ પૂરો પાડતી વહેંચણી, ધર્મસ્થાનોમાં ભાગ્યે જ જોવા મળે એવી અણીશુધ્ધ સ્વચ્છતા, પાર નદીની શીતળતા લઈને વહેતો મીઠો પવન અને આ સૌની ઉપર ધામમાં પ્રવેશતાં જ પ્રત્યેક માનવીના હદયના ઊંડાણમાં થતી વિશિષ્ટ અનુભૂતિ-માઁ વિશ્વંભરીના આ ધામને અવિસ્મરણીય બનાવે છે, માઁના ખોળે બિરાજમાન હોવાનો અનુભવ કરાવે છે. આ ધામને જેટલું જોઈએ એટલું વધુ જોવાની ઈચ્છા જાગે છે. જેટલો દિવ્ય અનુભવ પામીએ એનાથી મન ધરાતું નથી તેટલો વધુ પામવાની તમન્ના જાગે છે. વિશ્વકક્ષાના આ ધામે રોજ-બરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો ભાગ્ય વિધાતા-માં વિશ્વંભરીના દર્શન કરવા અને મનોકામના પૂર્ણ કરવા આવે છે. સમગ્ર વિશ્વમાં આ ધામ આજે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.