Vapi વાપીમાં ભંગાર ગોડાઉન ડિમોલિશન વિરુદ્ધ જોરદાર વિરોધ: ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ઝંડાચોકથી મનપા સુધી રેલી
Vapi તમામ લીગલ ડોક્યુમેન્ટ હોવા છતાં ડિમોલિશન કરવામાં આવતા મનપાના ઈરાદા પર ઉઠ્યા સવાલો, ચોમાસું માથા પર છે ત્યારે લોકોને રસ્તા પર લાવી દેવાતા રોષ ફાટી નીકળ્યો
વાપી મહાનગર પાલિકા દ્વારા ભંગારના ગોડાઉનો પર બૂલડોઝર ફેરવાતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ભંગારના વેપારીઓએ હલ્લાબોલ કર્યો હતો. ઝંડાચોકથી વાપી મહનગરપાલિકા સુઘી વિશાળ રેલી કાઢી મનપા તંત્રના ડિમોલિશનની સામે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વાપીના ડુંગરા ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા તેમજ બલીઠા સલવાવ મોરાઈ જેવા વિસ્તારમાં ભંગારના ગોડાઉન ઉપર મહાનગરપાલિકા નોટિસ માર્યા બાદ અચાનક જ ગોડાઉન ડીમોલિશન કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી સામે ચોમાસુ છે ત્યારે ભંગારના ગોડાઉનનાં માલિકો પોતાનો માલ-સામાન લઈને ક્યાં જશે જેવા સવાલો સાથે આજે તમામ ભંગારના વેપારીઓ સાથે રહીને વાપીના ઝંડા ચોકથી મહાનગરપાલિકા સુધી વિરોધ રેલી યોજી બેનરો અને ભારે સૂત્રોચાર સાથે મહાનગરપાલિકાના નાયબ કમિશનરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વાપી મનપા દ્વારા
ખોટી રીતે ભંગારના ગોડાઉન વેપારીઓને કોઈકના ઇશારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે સામે ચોમાસુ છે ત્યારે અચાનક જ આ રીતે ડિમોલિશન કરવામાં આવે તો પોતાની રોજી રોટી ગૂમાવી દેનારા સામાન્ય લોકો જશે ક્યાં? ડિમોલિશન કરતા પૂર્વે વૈકલ્પિક વ્યવસ્થા મનપાએ ઉભી કરવાની હતી પરંતુ તે પણ કરી નથી તેમ જ કેટલાક લોકો પાસે લીગલ ડોક્યુમેન્ટસ પણ છે પરંતુ તેમને પ્લાન રિવાઇઝ કરવા માટેનો પણ સમય આપવામાં આવ્યો નથી આ ઉપરાંત વેપારીઓ વર્ષોથી પાલિકાનું ટેક્સ પણ ભરી રહ્યા છે.આમ વાપી મનપા દ્વારા રહેણાંક વિસ્તારમાં આગ લાગવાના નામે ભંગારના ગોડાઉન સંચાલકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને તેઓને રંઝાડવાની નીતિ શરૂ થઈ છે જેવા આક્ષેપો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કર્યા હતા.
ધારાસભ્ય અનંત પટેલે એમ પણ ઉમેર્યું કે
પર્યાવરણને નુકસાન કરવામાં આવી રહ્યું છે. વાપીની અનેક કંપનીઓ દ્વારા દૂષિત પાણી છોડવાથી પણ થઈ રહ્યું છે પરંતુ નોટિફાઇડ એરીયા અને જીઆઇડીસીના કેટલાક વિસ્તારોનો કેમ મનપામાં સમાવેશ કરવામાં આવ્યો નથી જે પણ એક તપાસમાં વિષય છે એ અંગે પણ તપાસ થવી જોઈએ માત્રને માત્ર ગામડાઓ જ કેમ મનપાના સમાવેશ કરવામાં આવ્યો છે અને આગ તો ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં પણ અગાઉ અનેક વખત લાગી ચૂકી છે પરંતુ તેમ છતાં કોઈ પણ ઇન્ડસ્ટ્રી સામે કેમ કોઈ ડિમોલિશન કે ઇન્ડસ્ટ્રીઝ સીલ કરવાની પ્રક્રિયા થતી ન હોવાના વેધક સવાલો અનંત પટેલે ઉઠાવ્યા હતા.
બીજી તરફ મનપાના કમિશનરે જણાવ્યું કે વ્યવસાય કરવો એ તમામનો અધિકાર છે પરંતુ કાયદાકીય રીતે રહીને વ્યવસાય કરવો એ જરૂરી છે અને એવું નથી કે તમામ ભંગારના ગોડાઉન ધારકોને મનપા એ સમય નથી આપ્યો તમામને નોટિસ આપ્યા બાદ તેમને સમય પણ આપવામાં આવ્યો છે પરંતુ તે સમયગાળામાં તેમણે જરૂરી પરવાનગીઓ અને કાગળ રજૂ કર્યા નથી. જેને કારણે ન છૂટકે મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે.
ભંગારનું ગોડાઉન ધરાવતા સામાજિક કાર્યકર મુખ્તાર અહેમદ ઘાંચી એ જણાવ્યું કે તેમના બાપ દાદાના સમયથી અહીં વસવાટ કરીને ધંધો-વ્યવસાય કરતા આવ્યા છે.વર્ષોથી અહીં વ્યવસાય કરતા આવ્યા હોય તો તમામ જરૂરી કાગળો તમામ લોકો પાસે છે.જેમ પાલિકા વ્યવસાય વેરો,વ્યવસાય માટે ગુમાસ્તા ધારા લાયસન્સ,વાણિજ્ય વેરો રસીદ સહિતના કાગળો,એન એ જમીન સહિત અનેક ભંગારના ગોડાઉન ધારકો પાસે ઉપલબ્ધ છે છતાં પણ કેટલાક ગોડાઉન માલિકોને સીધા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે મોટા ભાગના ગોડાઉન સંચાલકો હિન્દીભાષી છે
જેમને ગુજરાતી આવડતું નથી.અને પાલિકાએ નોટીસ ગુજરાતીમાં આપી છે જેના કારણે તેઓ વધારે મૂંઝવણમાં મુકાયા હતા.અને હજુ તો તેઓ નોટિસમાં લખેલ બાબતો સમજી શકે તે પેહલા તો ડિમોલિશન અને સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ જેથી તેઓ કઈ વિરોધ પણ કરી નહીં શક્યા.આજે 100 થી વધુ ભંગારના ગોડાઉન સંચાલકો તેમના જરૂરી કાગળો ભરેલી ફાઇલનો થપ્પો પાલિકા કચેરી ઉપર લઈને પહોંચ્યા હતા અને કમિશનર સમક્ષ તમામ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.
અનંત પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપવા આવેલા અનેક ભંગારના ગોડાઉન માલિકોએ એકજ સુર પુરાવ્યો હતો કે મનપા દ્વારા ચોમાસા પેહલા જ ડિમોલિશન કરવામાં આવ્યું તો આવા સમયે સામાન્ય વ્યવસાય કરનારા તેમના પરિવાર અને તેમના સમાન સાથે જશે ક્યાં? મનપા દ્વારા ડિમોલિશન પેહલા ગોડાઉન સંચાલકોને સમય આપવાની જરૂર હતી અથવા તો તેમના માટે પ્રથમ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની જરૂર હતી પરંતુ મનપા દ્વારા સીધું ડિમોલિશન કરી નાખવામાં આવતા તમામ ગોડાઉન ધારકો હાલમાં કાગળો અને વાણિજ્ય વ્યવસાય વેરો ભર્યો હોવા છતાં મુશ્કેલીમાં મુકાયા છે.
તેમણે જણાવ્યું કે મનપા દ્વારા તેમની ગાઇડ લાઇનનું પાલન કરવા
માટે ન તો કોઈ ભંગારના ગોડાઉન માલિકો સાથે બેઠક યોજી ફાયર એનઓસી કેવી રીતે લેવી, જીપીસીબી.પાસે એનઓસી.કેવી રીતે લેવી જેવી તમામ વિગતો અંગે તેમણે જાગૃત કરી અવગત પણ કરવામાં નથી આવ્યા ત્યારે હાલ તો મનપાએ ભંગારના ગોડાઉન સંચાલકોને પોતાના ધંધાથી દૂર તો કર્યા જ છે,પણ હવે જાયે તો જાયે કહા જેવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે ત્યારે તમામ ભંગારના વેપારીઓની પડખે ધારાસભ્ય અનંત પટેલ આવ્યા હતા.
આજની વિરોધ રેલીમાં ધારાસભ્ય અનંત પટેલની સાથે આગેવાનો ફરહાન બોગા, પીરૂ મકરાણી, વરુણ સિંગ, ખંડુંભાઈ પટેલ,આદિવાસી નેતા કલ્પેશ પટેલ સહિત અનેક કોંગ્રેસી નેતાઓ અને ભંગારના ગોડાઉન માલિકોની મોટી જનમેદની ઉમટી પડી હતી