ગુજરાત પોલીસનો ક્રાંતિકારી નિર્ણય: હવે પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ ‘નાગરિક-કેન્દ્રિત’ સુવિધાઓ પર આધારિત
ગુજરાત પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોના રેન્કિંગની પદ્ધતિમાં એક ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ, પોલીસ સ્ટેશનોનું મૂલ્યાંકન માત્ર ગુનાના આંકડા (ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ) પર આધારિત હતું, પરંતુ હવે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચના અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તે સંપૂર્ણપણે ‘નાગરિક-કેન્દ્રિત’ (સિટીઝન સેન્ટ્રીક) કામગીરી અને સુવિધાઓ પર આધારિત રહેશે.
આ ફેરફાર ડીજી-આઈજી કોન્ફરન્સ 2024ના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય પોલીસને લોકોની વધુ નજીક લાવવાનો છે. હવેથી, વર્ષમાં બે વખત દરેક શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનોનું મૂલ્યાંકન આ નવા માપદંડોના આધારે કરવામાં આવશે. આ મૂલ્યાંકનમાં લગભગ 40 જેટલા વિવિધ નાગરિક-કેન્દ્રિત મુદ્દાઓનો સમાવેશ થાય છે.
નવા માપદંડ અને સુવિધાઓ
નવા રેન્કિંગ માપદંડમાં એ બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેનો સીધો ફાયદો નાગરિકોને થાય છે. જેમાં અરજીઓનું ઝડપી અને સંતોષકારક નિવારણ, ‘શી’ (SHE) ટીમ દ્વારા સિનિયર સિટીઝનની મુલાકાતો, પોલીસ ગેરવર્તનની અરજીઓ, તેમજ ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અને ‘તેરા તુજકો અર્પણ’ જેવા કોમ્યુનિટી પોલીસિંગ કાર્યક્રમોનો અમલ મુખ્ય છે.
આ ઉપરાંત, પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા, મહિલાઓ માટે સ્વચ્છ શૌચાલય, પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, રાહત કક્ષ (Waiting Area) અને ત્યાં નાગરિકો માટેની સુવિધાઓ, વૃક્ષારોપણ, સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી જેવી મૂળભૂત સુવિધાઓને પણ ગુણ આપવામાં આવશે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ (PSO અને SHO) દ્વારા સરકારી નંબરનો ઉપયોગ પણ આ મૂલ્યાંકનનો એક ભાગ છે.
આ નવી પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ સ્ટેશનો વચ્ચે સકારાત્મક સ્પર્ધાનું વાતાવરણ ઊભું કરવાનો છે. દરેક શહેર અને જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર પોલીસ સ્ટેશનને રાજ્યના પોલીસ વડા તરફથી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવશે. તાજેતરમાં જ આ પદ્ધતિના આધારે રેન્કિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને વિજેતા પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાત પોલીસને વધુ પારદર્શક, જવાબદાર અને નાગરિકોની સેવા માટે કટિબદ્ધ બનાવશે.