‘ધુરંધર 2’ ના ‘મોટા સાહેબ’ ની શોધ પૂરી? જાણો કયો એક્ટર ફરી બનશે પડદા પર ખલનાયક
નિર્દેશક આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવવેન્જ’ (Dhurandhar: The Revenge) આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં રણવીર સિંહ એક ભારતીય જાસૂસની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મની વાર્તા પ્રથમ ભાગ ‘ધુરંધર’ ના લુઝ એન્ડ્સને આગળ વધારશે. ફિલ્મમાં આર. માધવન, અર્જુન રામપાલ અને સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારો તો છે જ, પરંતુ હવે એક નવા નામની એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
શું ઈમરાન હાશમી બનશે ‘મોટા સાહેબ’?
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરિયલ કિસર તરીકે ઓળખાતો અને હવે પાવરફુલ વિલન તરીકે ઉભરી રહેલો ઈમરાન હાશમી આ ફિલ્મમાં ‘મોટા સાહેબ’ નું રહસ્યમય પાત્ર ભજવી શકે છે. પ્રથમ ભાગમાં આ પાત્રનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો ચહેરો બતાવવામાં આવ્યો નહોતો. એવી અટકળો છે કે આ કેરેક્ટર દાઉદ ઈબ્રાહિમ કે મસૂદ અઝહર જેવા કોઈ આતંકી નેતાથી પ્રેરિત હોઈ શકે છે.
ખલનાયક તરીકે ઈમરાનનો જાદુ
ઈમરાન હાશમી માટે વિલન બનવું એ કોઈ નવી વાત નથી. સલમાન ખાનની ‘ટાઈગર 3’ માં તેણે જે પ્રકારે નકારાત્મક ભૂમિકા ભજવી હતી, તેનાથી ફેન્સ અને મેકર્સ બંને પ્રભાવિત થયા હતા. જો ઈમરાન આ રોલ માટે ફાઈનલ થાય છે, તો રણવીર સિંહ અને ઈમરાન હાશમીની ટક્કર જોવી સિનેપ્રેમીઓ માટે એક શાનદાર અનુભવ હશે. આ ઉપરાંત રાજ ઝુત્શી આ ફિલ્મમાં પાકિસ્તાની જનરલનું પાત્ર ભજવે તેવી પણ શક્યતા છે.
શું છે ફિલ્મની વાર્તા?
‘ધુરંધર 2’ ની વાર્તા એક અન્ડરકવર ભારતીય એજન્ટની આસપાસ ફરે છે, જે આતંકી નેટવર્કનો નાશ કરવા માટે પાકિસ્તાનના કરાચીમાં ઘૂસણખોરી કરે છે. ફિલ્મમાં ક્રાઈમ વર્લ્ડ અને રાજકીય ષડયંત્રોને ખૂબ જ નજીકથી બતાવવામાં આવશે. યામી ગૌતમ આ ફિલ્મમાં કેમિયો કરી રહી હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે, જે ફિલ્મને વધુ રસપ્રદ બનાવશે.
જોકે, મેકર્સ તરફથી ઈમરાન હાશમીના નામની સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે, પરંતુ આ સમાચારથી જ સોશિયલ મડિયા પર ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

