ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સમાધાન માટે ભારત અને ચીનના આર્મી કમાંડરો વચ્ચે આજે વાતચીત થનાર છે. આ બેઠક ચીનના મોલ્ડામાં યોજાશે. આ બેઠકમાં ભારત તરફથી 14મી કોરના કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ હરવિંદ સિંહ અને ચીન તરફથી મેજર જનરલ લિયુ લિન હાજરી આપશે. લિયુ સાઉથ ઝિંનઝિયાંગ આર્મી ક્ષેત્રના કમાંડર છે.
આ પહેલા શુક્રવાર સાંજે બન્ને દેશના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત થઈ હતી. બન્ને દેશનું માનવું છે કે મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત ચીન સમક્ષ પેંગોંગ સો, ગલવાન ઘાટી અને ડેમચોકમાં બન્ને પક્ષના સૈનિકો વચ્ચે તણાવ ઓછો કરવા માટે ખાસ દરખાસ્ત રજૂ કરશે. અત્યાર સુધીમાં 10 વખત વાતચીત યોજાઈ ચુકી છે. આ વાતચીત સ્થાનિક કમાન્ડર સ્તર પર તેમ જ મેજર જનરલ રેન્કના અધિકારીઓ વચ્ચે થઈ છે. જોકે, આ વાતચીતના કોઈ સકારાત્મક પરિણામો હજુ સુધી સામે આવ્યા નથી. ત્યારે આ બેઠક માં શુ નિર્ણય આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.
Sunday, May 19