મુંબઇઃ કોરોના મહામારી અને લોકડાઉનના લીધે દાયકા બાદ દુનિયાનું અર્થતંત્ર મંદીના ચક્રવ્યૂહમાં ફસાઇ ગયુ છે અને આગામી બે સુધી તેમાંથી બહાર નીકળવાની શક્યતા બહુ ઓછુ છે. કોવિડ-19ને કારણે વિશ્વભરના દેશોની ખોરવાઈ ગયેલી આર્થિક સ્થિતિ વર્ષ 2020 પહેલા કોરોના પહેલાના સ્તરે ફરી પાછી જોવા નહીં મળે એમ મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસે જણાવ્યું હતું. ૨૦૨૦ના ૧૧મી માર્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને મહામારી તરીકે જાહેર કરી હતી. આ વર્ષથી જ વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. આર્થિક અસરને કારણે બોન્ડ ડીફોલ્ટસમાં વધારો થયો છે.
કોરોનાને કારણે ઊભા થયેલા ધિરાણ પડકારો ઘણાં જ ગંભીર છે પરંતુ ધિરાણમાં ઘટાડો ટૂંકા ગાળા પૂરતું જ રહેશે. જે ક્ષેત્રોની સામાન્ય પ્રવૃત્તિઓ મર્યાદાઓથી અસર પામી રહી છે તેમની સામે જોખમો નોંધપાત્ર ઊંચા રહેલા છે, એમ મૂડી’સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.
વિશ્વના મોટાભાગના દેશોની આર્થિક સ્થિતિ ૨૦૨૨ પહેલા કોરોના પૂર્વના સ્તરે જોવા મળવાની શકયતા નહીં હોવાનું જણાવીને રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક રિકવરી ધીમી અને તબક્કાવાર રહેશે તથા બૃહદ્ આર્થિક આઉટલુક આસપાસ અનિશ્ચિતતા સામાન્ય કરતા ઘણું ઊંચુ રહેશે.
મહામારી હળવી થયા બાદ નીતિવિષયક પગલાં આર્થિક પ્રવૃત્તિ તથા નાણાં બજારોને ટેકો પૂરો પાડવાનું ચાલુ રાખશે એમપણ એજન્સીએ ઉમેર્યું હતું. મહામારી નાબુદ થઈ જવા પછી પણ અનેક દેશોએ વર્ષો સુધી આર્થિક ટેકા પૂરા પાડવાનું ચાલુ રાખવું પડશે.
મહામારીની વ્યાપકતા અને ફેલાવો વેકસિનેશનમાં વધારાને કારણે વર્તમાન વર્ષમાં ઘટી જશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. આને કારણે સરકાર માટે લોકડાઉનના પગલાં હળવા કરવાનું સરળ બનશે.