કેટલાક પુરાતત્વવિદો ઈજિપ્તની રાજધાની કાહિરાની દક્ષિણ દિશામાં આવેલા અબુ ગોરાબ નામના શહેરના રણ વિસ્તારમાં ખનન કરી રહ્યાં હતા. તે સમયે અચાનક જ પ્રાચીન મંદિર મળી આવ્યું હતુ. આ મંદિર સૂર્ય દેવનું છે અને તે છેલ્લા 4,500 વર્ષોથી રણ પ્રદેશમાં દટાયેલું હતું. ઈજિપ્તના આર્કિયોલોજિસ્ટના કહેવા પ્રમાણે આ છેલ્લા દશકાનું સૌથી મોટું સંશોધન છે. ઈજિપ્તના ફૈરોહ દ્વારા આ મંદિર બનાવડાવવામાં આવ્યું હતું.
પુરાતત્વવિદોના કહેવા પ્રમાણે આ મંદિર પાંચમા સામ્રાજ્યના ફૈરોહે બનાવડાવ્યું હતું. તે સમયે તેઓ જીવીત હતા. તેમનો ઉદ્દેશ્ય હતો કે, લોકો તેમને ભગવાનનો દરજ્જો આપે. બીજી બાજુ પિરામિડ્સ બનાવડાવાયા હતા જ્યાં ફૈરોહના મૃત્યુ બાદ તેમની કબર બનાવવામાં આવતી હતી, જેથી અવસાન બાદ તેઓ ભગવાનનું સ્વરૂપ મેળવી શકે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, મંદિરનું નિર્માણ માટીમાંથી બનેલી ઈંટો દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો 2 ફૂટ ઉંડો પાયો ચૂનાના પથ્થરો દ્વારા બનાવવામાં આવ્યો હતો.
નિષ્ણાંતોના મતે અસલી મંદિર ખૂબ જ સુંદર અને આકર્ષક રહ્યું હશે કારણ કે, અબુ ગોરાબમાંથી મળી આવેલા અવશેષોની મદદથી તેમણે કોમ્પ્યુટર દ્વારા મંદિરની ડિઝાઈન બનાવી હતી. તે જોવામાં ખૂબ જ સુંદર જણાય છે. તે સિવાય પુરાતત્વવિદોને પ્રાચીન સ્થળેથી બિયરના જાર મળી આવ્યા હતા જે માટીથી ભરેલા હતા. આ જારોમાં સૂર્ય દેવતાને કોઈ પૂજા-પાઠ સમયે ચઢાવો આપવામાં આવતો હશે.