પાકિસ્તાનમાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે ખેંચતાણની સ્થિતિ વધતી જઈ રહી છે. શિયાઓને ભય છે કે પાકિસ્તાનમાં 1980 અને 90ના દાયકામાં ભડકેલી હિંસા જેવી ઘટના ફરી બની શકે છે ત્યારે સેંકડો લોકો કોમી હિંસામાં માર્યા ગયા હતા. ગત અઠવાડિયે સુન્ની મુસ્લિમો અને આતંકી સંગઠોએ કરાચીમાં શિયા મુસ્લિમો વિરુદ્ધ દેખાવ કર્યા હતા. તેમણે દુકાનો અને અન્ય પ્રતિષ્ઠાન બંધ કરાવી દીધા. માર્ગો જામ કરી દીધા. તેમણે સૂત્રોચ્ચાર કર્યો કે શિયા કાફિર છે, તેમને મારી નાખવામાં આવે. દેખાવોની આગેવાની પ્રતિબંધિત આતંકી સંગઠન સિપાહ-એ-સબાહે કરી હતી. દેખાવકારો કહે છે કે આશુરા જુલૂસના ટીવી પ્રસારણ દરમિયાન શિયા મૌલવીએ ઈસ્લામિક વિદ્વાનો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. હવે સોશિયલ મીડિયા પર શિયા નરસંહાર હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. શિયાવિરોધી પોસ્ટ દેખાઈ રહી છે. 21 કરોડની વસતી ધરાવતા પાકિસ્તાનમાં શિયાઓની વસતી 20 ટકા છે.
દેખાવકારો પર અત્યાર સુધી કોઈ કેસ નોંધાયો નથી. તાજેતરમાં આશુરાના જુલૂસમાં ભાગ લેવા બદલ ડઝનેક શિયા મુસ્લિમો પર હુમલો થયા હતા. જુલૂસ પર હેન્ડ ગ્રેનેડ ઝિંકાયા હતા. રાવલપિંડીના મુખ્ય શિયા મૌલવી અલી રઝા કહે છે કે ઈમરાન ખાન આ શિયા વિરોધી દેખાવો માટે જવાબદાર છે. એવું લાગે છે કે સરકાર જાણીજોઈને હેટસ્પીચને પ્રોત્સાહન આપે છે. શિયાઓને મેસેજ મોકલી તેમને કાફિર ગણાવાય છે. મારી નાખવાની ધમકી અપાઈ રહી છે. ઈસ્લામાબાદમાં ચર્ચા છે કે સરકાર આશુરાના જુલૂસો પર કાર્યવાહી કરી શકે છે. કરાચી યુનિવર્સિટીમાં શિયા વિદ્યાર્થી ગુલઝાર હસનૈન કહે છે કે તે લોકો ડરી ગયા છે. લશ્કર-એ-જાન્ગ્વી અને સિપાહ-એ-સબાહના લોકો એક જગ્યાએ એકઠાં થઈ તેમને કાફિર કહી રહ્યાં છે. તે લોકોને અમને મારી નાખવા ઉશ્કેરી રહ્યાં છે. કરાચી યુનિ.માં આસિસ્ટન્ટ પ્રોફેસર સોહેલ ખાન કહે છે કે સુન્ની મુસ્લિમોના શક્તિ પ્રદર્શન બાદ પાકિસ્તાનમાં સાંપ્રદાયિક હિંસાની આશંકા દેખાઈ રહી છે. પાક.ના ગૃહમંત્રી બ્રિગેડિયર એઝાઝ શાહે કહ્યું કે બધું નિયંત્રણમાં છે.